દુકાનોના શટર તોડી ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

ગેસ્ટ હાઉસમાં રોકાણ કરીને દિવસ દરમીયાન દુકાનોની રેકી કરીને રાત્રિના તે દુકાનમાં ચોરીને અંજામ આપતા હતા.
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર સહિત સુરતમાં દુકાનોના શટર તોડી ચોરીના બનાવોને અંજામ આપનાર ટોળકીના ત્રણ સભ્યોને ભરૂચ શહેર એ.ડિવિઝન પોલીસે ઝડપી પાડી સફળતા મેળવી છે.આરોપીઓમાં બે રીઢા ગુનેગારો ઉપરાંત એક કાયદાની સંઘર્ષમાં આવેલ એક કિશોરનો પણ સમાવેશ થાય છે.
૧૯ જૂન ૨૦૨૫ ના રોજ ભરૂચના નંદેલાવ રોડ પર આવેલા શુકન રેસીડન્સી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના શટર તોડી “મહાદેવ પ્રોવિઝન સ્ટોર” માંથી ચોરી કરવામાં આવી હતી.આ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોધી પીઆઈ આર.એમ.વસાવા અને પીએસઆઈ એ.વી. શિયાળીયાના માર્ગદર્શન હેઠળ સ્થળ મુલાકાત લઈને ફૈંજીઉછજી પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ કેમેરા અને દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી.
પોલીસને ભારે જહેમત બાદ માહિતી મળી હતી કે,આ વિસ્તારમાં ચોરીને અંજામ આપનાર ત્રણ ઈસમો પુનઃ નંદેલાવ વિસ્તારમાં ફરી રહ્યા છે.જેથી પોલીસે તાત્કાલિક પ્લાન બનાવી ત્રણેય ઇસમોને નંદેલાવ વિસ્તારમાં ચોરીને અંજામ આપવા ફરતા અમરેલીના ડેનીશ ઉર્ફે ડેનિયો ભુપતભાઈ ઘોઘારી,પ્રવિણ નારણભાઈ નાગર અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને તે સમયે દબોચી લીધા હતા.
પોલીસે આરોપીઓ પ્રાથમિક પૂછપરછમાં ગુનાની કબૂલાત આપતાં તેમના પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ રૂ.૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા ગેસ્ટ હાઉસમાં રોકાણ કરીને દિવસ દરમીયાન દુકાનોની રેકી કરીને રાત્રિના તે દુકાનમાં ચોરીને અંજામ આપતા હતા. જેમાં ડેનિશ ઘોઘારી અને પ્રવીણ નાગર ઉપર અનેક જિલ્લાઓમાં ચોરીના ગુનાઓ નોંધાયેલા છે.ત્યારે હાલમાં તો પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.