સરકારી એમ્બ્યુલન્સનો દુરુપયોગ, દર્દીઓ નહીં સ્ટેશનરી સામાન પહોંચાડવામાં આવ્યો

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા સિવિલ હોસ્પિટલના તંત્ર સામે ફરી એકવાર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અહીંના સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ દર્દીઓને લઈ જવા માટે નહીં, પરંતુ સ્ટેશનરી સામાન ભરવા માટે કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ માટેની સ્ટેશનરી સામગ્રી ભરીને તેની સત્તાધિકારથી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મામલાએ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા છે – શું આમ જનતા માટે રાખવામાં આવેલી એમ્બ્યુલન્સ વ્યવસ્થા તંત્ર માટે ખાનગી લોજિસ્ટિક સેવા બની ગઈ છે?
સામાન્ય જનતાના ટેક્સના પૈસાથી ચલાવાતા આવા સરકારી વાહનોનો દુરુપયોગ કરનાર જવાબદાર અધિકારીઓ સામે શિસ્તમુલક કાર્યવાહી થશે કે નહીં એ પ્રશ્નનો જવાબ હજુ અવ્યાખ્યાયિત છે.
થોડાક દિવસ પહેલા પણ સરકારી એમ્બ્યુલન્સનો ઉપયોગ ઘરગથ્થુ સામાન ભરવા માટે કરવામાં આવ્યો હોવાનો વિવાદ સામે આવ્યો હતો, જે વિવાદ હજી ઠંડો પડ્યો નહોતો કે તાજેતરમાં આ નવો કિસ્સો સામે આવ્યો છે. હવે પ્રશ્ન એ છે કે -આ સમગ્ર ઘટનામાં કોણ જવાબદાર છે? કોના આદેશથી સરકારી એમ્બ્યુલન્સમાં સ્ટેશનરી સામાન ભરાયો?આ તમામ મુદ્દાઓ હવે તપાસનો વિષય બન્યા છે.