Western Times News

Gujarati News

કરુણ નાયર ઈંગલેન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી બાકાત થઈ શકે છે

બેકેનહામ, ભારતીય ટીમ ૨૩મી જુલાઈથી માન્ચેસ્ટર ખાતે ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં રમવા ઉતરશે ત્યારે અંતિમ ઇલેવનમાં જો કોઈ એકાદ ફેરફાર થશે તો તે કરુણ નાયરની બાદબાકી હશે.

આઠ વર્ષ બાદ ભારતની ટેસ્ટ ટીમમાં પુનરાગમન પ્રાપ્ત કરનારા કરુણ નાયર પાસેથી મોટી અપેક્ષા રખાતી હતી કેમ કે તેણે ડોમેસ્ટિક સિઝનમાં વિદર્ભ માટે રમીને રનના ઢગલાં ખડક્યા હતા પરંતુ ૩૩ વર્ષનો આ બેટર અત્યાર સુધીની સિરીઝની છ ઇનિંગ્સમાં ૪૦ના સર્વાેચ્ચ સ્કોરથી આગળ વધી શક્યો નથી. આ દરમિયાન તેણે ૧૩૧ રન ફટકાર્યા છે.

નાયર લગભગ તમામ ઇનિંગ્સમાં તો શરૂઆત સારી રીતે કરતો આવ્યો છે પરંતુ કમનસીબે તેને મોટી ઇનિંગ્સમાં ફેરવી શક્યો નથી. નાયર સીધા બોલને તો સારી રીતે ડ્રાઇવ કરી શકે છે પરંતુ ઉછળતા બોલ તેની ખામી રહી છે અને આ ખામી ઇંગ્લેન્ડના બોલર્સે સારી રીતે પકડી લીધી છે જેને કારણે દરેક ઇનિંગ્સમાં તે ઉછળતા બોલ સામે થાપ ખાઈ જતો જોવા મળ્યો છે.

લોડ્‌ર્ઝ ખાતેની ત્રીજી ટેસ્ટમાં બ્રાયડન કાર્સેના બોલમાં તે કોઈ શોટ રમી શક્યો ન હતો અને લેગબિફોર થયો હતો. ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ આ ખામી પ્રત્યે ધ્યાન દોર્યું હતું અને લોડ્‌ર્ઝમાં ભારતના ૨૨ રનથી થયેલા પરાજય માટે નાયરની વિકેટને કારણભૂત દર્શાવી હતી.

ત્રીજા ક્રમે રમવા આવતા બેટર પાસેથી અને ખાસ કરીને નાયર પાસેથી ભારત મજબૂત, મક્કમ અને લાંબી ઇનિંગ્સની અપેક્ષા રાખે તે સ્વાભાવિક છે પરંતુ આ બાબતમાં નાયર દર વખતે નિષ્ફળ રહ્યો છે. નાયરે લગભગ આઠ વર્ષ અગાઉ ઇંગ્લેન્ડ સામે જ ચેન્નાઈ ખાતે રમતાં ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રેવડી સદી ફટકારી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.