યુવા મોટીવેશનલ સ્પીકર ભાવિકા મહેશ્વરીએ રાજ્યપાલની મુલાકાત લીધી

પ્રતિભાશાળી અને સંસ્કારી યુવાનો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા, કથાકાર, લેખિકા, ટેડ-એક્સ સ્પીકર, ઉદ્યોગ સાહસિક અને ચાર વર્લ્ડ રેકોર્ડ ધારક ભાવિકા મહેશ્વરીએ આજે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
કુ. ભાવિકા મહેશ્વરીએ રાજ્યપાલ મહોદયને પોતાના વિવિધ કાર્યો અને ઉપલબ્ધિઓની જાણકારી આપી હતી. ભાવિકા ભારત ઉપરાંત અનેક દેશોમાં રામાયણ, સનાતન સંસ્કૃતિ, મોબાઈલ સ્ક્રીન એડીક્શન જેવા વિષય ઉપર યુવાનોને પ્રેરિત કરી ચૂકી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભાવિકાએ ખૂબ નાની ઉંમરમાં મેળવેલ અસાધારણ સિદ્ધિઓની પ્રશંસા કરતાં કહ્યું કે, આવા પ્રતિભાશાળી અને સંસ્કારી યુવાનો દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તેમણે ભાવિકાને સેવાના માર્ગ પર આગળ વધવાની શુભેચ્છાઓ પાઠવી હતી.
સુરતની સોળ વર્ષીય ભાવિકા મહેશ્વરીએ માત્ર 11 વર્ષની ઉંમરમાં રામકથાના માધ્યમથી 52 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી અયોધ્યા શ્રી રામ મંદિરને સમર્પિત કર્યું હતું. આ ઉપરાંત કોરોનાના સમયગાળા દરમિયાન તેણીએ જેલ અને આઇસોલેસન સેન્ટરોમાં કથા વાચન કરીને લોકોને માનસિક અને આધ્યાત્મિક શક્તિ પણ પૂરી પાડી હતી.
ભાવિકા મહેશ્વરી દ્વારા લખાયેલા પુસ્તકોમાં દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ પરનું ‘સંઘર્ષ સે શિખર તક‘, તેમજ ‘આજ કે બચ્ચે કલ કે ભવિષ્ય‘, ‘રિલેવન્સ ઓફ શ્રીરામ‘, અને ‘સ્ક્રીન ટાઈમ ટુ ડ્રીમ ટાઈમ‘ નો સમાવેશ થાય છે.