ભારતે અમેરિકા સાથેનો F35 ફાઈટર જેટનો સોદો રદ કર્યો

ટ્રમ્પના ટેરિફ સામે ભારતનો જડબાતોડ જવાબ -૯૨ દેશ પર નવા ટેરિફની યાદી જાહેર – ભારત પર લદાયેલો ૨૫% અમેરિકી ટેરિફ ૭ દિવસ ટળ્યો
(એજન્સી)નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. આ પછી, બંને દેશો વચ્ચેના વેપાર અને વ્યૂહાત્મક સંબંધોમાં સંઘર્ષ જોવા મળ્યો છે. ટ્રમ્પે કહ્યું છે કે ભારતે અત્યાર સુધી અમેરિકા સાથે ઓછો વેપાર કર્યો છે. તેમણે આ માટે ભારતની ઊંચી આયાત ડ્યુટીને જવાબદાર ઠેરવી છે. આ દરમિયાન, ભારતે અમેરિકા પાસેથી F35 ફાઇટર જેટ ખરીદવા સંબંધિત સોદો મોકૂફ રાખ્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ૯૨ દેશ પર નવા ટેરિફ લાદ્યા છે. આ ૭ ઓગસ્ટથી અમલમાં આવશે. આમાં ભારત પર ૨૫% અને પાકિસ્તાન પર ૧૯% ટેરિફ લાદવામાં આવ્યો છે. દક્ષિણ એશિયામાં સૌથી ઓછો ટેરિફ પાકિસ્તાન પર લાદવામાં આવ્યો છે. અમેરિકાએ અગાઉ પાકિસ્તાન પર ૨૯% ટેરિફ લાદ્યો હતો.
બીજી તરફ, વિશ્વમાં સૌથી વધુ ૪૧% ટેરિફ સિરિયા પર લાદવામાં આવ્યો છે. આ યાદીમાં ચીનનું નામ સામેલ નથી. ટ્રમ્પે ૨ એપ્રિલે વિશ્વભરના દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, પરંતુ ૭ દિવસ પછી એને ૯૦ દિવસ માટે મુલતવી રાખવામાં આવી હતી.
ભારતે અમેરિકાને જવાબ આપીને કહ્યું છે કે તેને હવે F35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ નથી. બ્લૂમબર્ગે તેના એક અહેવાલમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તમને જણાવી દઈએ કે ટ્રમ્પ દ્વારા આ ઓફર ફેબ્રુઆરીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી. સંરક્ષણ સોદાઓમાં ભારતની પ્રાથમિકતા હવે સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન પર કેન્દ્રિત છે.
મોદી સરકાર હવે એક એવા સંરક્ષણ મોડેલની શોધમાં છે જે મેક ઇન ઇન્ડિયા હેઠળ સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજી ટ્રાન્સફર પર ભાર મૂકે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ભારત સરકાર ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાત પર તાત્કાલિક કોઈ બદલો લેવાની કાર્યવાહી કરશે નહીં. તેના બદલે, વ્હાઇટ હાઉસને શાંત કરવા માટે વૈકલ્પિક પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
ભારત આગામી ત્રણથી ચાર વર્ષમાં ભારત-અમેરિકા વેપાર વોર ઘટાડવા માટે યુએસ પાસેથી કુદરતી ગેસની આયાત, સંદેશાવ્યવહારના સાધનો અને સોનાની ખરીદી વધારી શકે છે. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-રશિયા સંબંધો વિશે કહ્યું હતું કે, મને ફર્ક નથી પડતો કે ભારત રશિયા સાથે શું કરે છે, તે તેમની મરેલી અર્થવ્યવસ્થાઓ પોતાની સાથે લઈ જવા દો, મને કોઈ પરવાહ નથી.