એશિયા કપ માટે અફઘાનિસ્તાને તેની ટીમ જાહેર કરી દીધી

દુબઈ, યુનાઇટેડ આરબ અમિરાતના વિવિધ સ્થળે યોજાનારી એશિયા કપ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે અફઘાનિસ્તાને તેની ૨૨ સંભવિતોની યાદી જાહેર કરી દીધી હતી જેમાં સ્ટાર સ્પિનર રાશીદ ખાનને પણ સામેલ કરવામાં આવ્યો હતો.
આ અંગે અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારે જાહેર કર્યું હતું કે તેમને રાશીદ ખાનના ફોર્મની ચિંતા નથી અને અમને તેની ઉપર ભરોસો છે કે એશિયા કપ વખતે તે તેના ઓરિજીનલ ફોર્મમાં આવી જશે.આ વખતની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટની યજમાની ભારતીય ક્રિકેટ બોર્ડ કરી રહ્યું છે પરંતુ તેનું આયોજન નવમીથી ૨૮મી સપ્ટેમ્બર દરમિયાન યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ) ખાતે થનારું છે.
ભારત અને પાકિસ્તાન એકમેકના મેદાનો પર રમવાને બદલે તટસ્થ કેન્દ્ર પર રમવાનું પસંદ કરે છે તે બાબતને ધ્યાનમાં રાખીને યુએઈની પસંદગી કરવામાં આવી છે.
અગાઉ રાશીદ ખાને ભારતમાં યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં કંગાળ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ (એમએલસી)માં મુંબઈ ન્યૂયોર્ક માટે નહીં રમવાનું પસંદ કર્યું હતું.
આ વખતની આઇપીએલમાં તે ગુજરાત ટાઇટન્સ માટે રમ્યો હતો જેમાં તેણે ૯.૩૪ના ઇકોનોમી રેટ અને ૫૭.૧૧ની સરેરાશથી માત્ર નવ વિકેટ ઝડપી હતી.
અફઘાનિસ્તાનની ટીમના પસંદગી સમિતિના સદસ્ય મિર મુબારિઝે જણાવ્યું હતું કે રાશીદ ખાન અફઘાનિસ્તાનનો સુપર સ્ટાર ક્રિકેટર છે. તેણે ટીમ માટે હંમેશાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે ફોર્મમાં હોય કે ના હોય તે બાબત રમતનો એક ભાગ છે પરંતુ કેવી રીતે પુનરાગમન કરવું તે રાશીદ સારી રીતે જાણે છે.SS1MS