કપાસના ઉભા પાકમાં ગુલાબી, ટપકાવાળી અને લીલી ઈયળના ઉપદ્રવને ઘટાડવા ખેડૂતોએ આટલું જરૂર કરવું….!!

ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા
ખેડૂતો પોતાના ઉભા પાકને રોગ-જીવાતથી બચાવીને સારું ઉત્પાદન અને સારી આવક મેળવી શકે તે માટે રાજ્યની ખેતી નિયામક કચેરી દ્વારા ખેડૂતોના હિતાર્થે વિવિધ રોગ-જીવતના વ્યવસ્થાપન માટેના પગલા સૂચવવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સિઝનમાં કપાસના ઉભા પાકમાં ગુલાબી ઈયળ, ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ સહિતના રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે કેટલાક મહત્વપૂર્ણ પગલા સૂચિત કરવામાં આવ્યા છે.
કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે આટલું જરૂર કરો:
· ગુલાબી ઇયળની મોજણી માટે નર ફુદાને આકર્ષતા લ્યુર સાથેના ફેરોમોન ટ્રેપ પ્રતિ એકર બે લગાડવા, રોજ ફુદાની સંખ્યા તપાસવી અને શરૂઆતથી લઇ કપાસની છેલ્લી વીણી સુધી આવા ફેરોમોન ટ્રેપ કપાસ ઉગાડતા દરેક ખેડૂતોએ સામુહિક ધોરણે વાપરવા અને સમયાંતરે તેની લ્યુર બદલવી.
· લીંબોળીનો મીંજ ૪ ટકા + લીંબોળીનું તેલ ૫૦ મીલી અથવા લીમડાયુક્ત દવાનો (૦.૨૫ ટકા) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી ૫૦–૬૦ દિવસે તેનો છંટકાવ કરવો.
· ગુલાબી ઈયળના વ્યવસ્થાપન માટે ગોસીપ્લુર ૪ ટકા આરટીયુ ટ્યુબનાં વટાણાં કદનાં ટપકાંઓ (અંદાજિત ૮૦૦ છોડ/હેક્ટર અથવા ૨૦૦–૨૫૦ ગ્રામ/હેક્ટર) એકાંતરે કપાસની હાર છોડીને બે છોડની વચ્ચે ૫ મીટરનાં અંતરે છોડનાં અગ્ર ભાગે (૩–૪ ઈંચ નીચે) મૂકવા. આ માવજત વાવણીનાં ૪૫, ૭૫ અને ૧૦૫ દિવસે આપવી.
· ગુલાબી ઈયળના જૈવિક નિયંત્રણ માટે ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટરી ૧ થી ૧.૫ લાખ પ્રતિ હેક્ટરે ૧૫ દિવસના અંતરે ૪ થી ૫ વખત પાનની નીચેની બાજુએ ચીપકાવી વાપરવા.
· કીટનાશકોના છંટકાવની જરૂરિયાત ઉપસ્થિત થાય તો પરજીવી ભમરી છોડ્યા બાદ ૭ દિવસનો ગાળો રાખી છંટકાવ કરવો.
· ક્રાયસોપાને ખેતરમાં હેક્ટર દીઠ ૧૦ હજાર ઈંડા અથવા પ્રથમ અવસ્થાની ઈયળોને બે થી ત્રણ વખત છોડવાથી જીંડવાની ઇયળોનું નિયંત્રણ કરી શકાય.
· ગુલાબી ઇયળના જૈવિક નિયંત્રણ માટે સાવજ એમડીપી ટેક્નોલોજીની ૪૦૦ ગ્રામ પેસ્ટ પ્રતિ હેક્ટર મુજબ (એકસરખા ૧,૦૦૦ ટપકાને બે ડાળીની વચ્ચેની જગ્યા પર), પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ જણાય (ફૂલ અવસ્થા) ત્યારે અને પછીની બે માવજત, પ્રથમ માવજતના ૩૦ દિવસના અંતરે આપવાની ભલામણ છે.
· કાબરી ઇયળ કપાસના છોડની શરૂઆતની અવસ્થામાં ડૂંખમાં પેસી જઇ ડૂંખને નુક્શાન કરતી હોઇ, ખેતરમાં આવી નુક્શાન પામેલ ડૂંખને હાથથી દબાવી દેવાથી તેમાં રહેલી ઇયળનો નાશ થાય છે.
· લીલી ઇયળનું ફૂદુ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તથા લીલી ઇયળની મોટી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી નાશ કરવો.
· પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ ઊભા પાકમાં ઈયળ નિયંત્રણ માટે વાનસ્પતિક કીટનાશકોનો (૬ થી ૮ લીટર કીટનાશક ૨૦૦ લીટર પાણીમાં એક એકર મુજબ) છંટકાવ કરવો.
· ફુલ અવસ્થાએ ફુલોમાં ગુલાબી ઈયળના ઉપદ્રવ અને નુકશાનની ચકાસણી કરવી. મોજણી દરમ્યાન ફુલોમાં ૧૦% નુક્શાન (વિકૃત/ રોસેટ/ બંધ પાંખડીવાળા) જોવા મળે તો ભલામણ કરેલ કીટનાશકોનો છંટકાવ કરવો અને છોડ ઉપર વિકૃત થયેલ (રોસેટ) ફુલો કે ખરી પડેલ ફુલ–ભમરીનો ઇયળ સહિત નાશ કરવો.
· કપાસમાં લીલી ઇયળ અને લશ્કરી ઈયળ માટેનું વિષાણુંયુકત દ્રાવણ અનુક્રમે (એચએનપીવી) ૪૫૦ અને (એસએનપીવી) ૨૫૦ ઇયળ યુનિટ પ્રતિ હેકટરે છાંટવાથી ઈયળોમાં રોગ ઉત્પન્ન થાય છે અને ઈયળ નાશ પામે છે. ખેતરમાં આવી રોગગ્રસ્ત ઈયળો છોડના ટોચના ભાગે ઉંધી લટકેલ જોવા મળે છે. એન.પી.વી. હંમેશા સાંજનાં સમયે છાંટવું.
· ઇયળોનાં નિયંત્રણ માટે કપાસનાં ખેતરમાં થોડા થોડા અંતરે પક્ષી બેસી શકે તે માટે ઝાડની ડાળીઓ ગોઠવવી અને તેની નીચે પાણી ભરી રાખવું જેથી જીવાત ખાનાર પક્ષી તેના પર બેસી ખેતરમાં રહેલી જીવાતો સહેલાઇથી શોધી ખાઇ શકે.
· ગુલાબી ઇયળના કુદરતી પરભક્ષીઓ જેવાં કે બ્રેકોન ગેલેચીડી અને ઇલાસમસ જહોનસ્ટોની કે કોશેટાના પરજીવી માઇક્રોબ્રેકોન લેફરોયની હાજરી જોવા મળે તો ઓછી હાનીકારક કીટનાશકોનો ઉપયોગ કરવો.
· પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાય તો આપના કાર્યક્ષેત્રને લગત કૃષિ યુનિવર્સીટી દ્વારા ભલામણ કરેલ રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરીયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
જંતુનાશક દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ અથવા જીવાત માટેની દવાનો ઉપયોગ ભલામણ મુજબ સંકલિત જીવાત વ્યવસ્થાપનના ભાગરૂપે તબક્કાવાર અનુસરવા ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે.