ધરોઈમાંથી પાણી છોડાતાં સુભાસ બ્રિજથી ઈન્દિરા બ્રિજ તરફનો રિવરફ્રન્ટ નદીમાં ગરકાવ થયો

સાબરમતી નદીમાં આવ્યું પૂર, રિવરફ્રન્ટ પર હાલત ખરાબ
(એજન્સી)અમદાવાદ, અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ધરોઈ ડેમનું પાણ સંત સરોવરમાં આવ્યું છે, અને સંત સરોવરનું પાણી સાબરમતી નદીમાં આવ્યું છે. આ કારણે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદીનું લેવલ સંપૂર્ણ ઘટાડી દેવાયું છે.
લેટેસ્ટ અપડેટ અનુસાર, હાલ સુભાસ બ્રિજથી ઈÂન્દરા બ્રિજ તરફનો રિવરફ્રન્ટ નદીમાં ગરકાવ થયો છે. રિવરફ્રન્ટનો પશ્ચિમ તરફનો લોઅર પ્રોમીનાડ ડૂબ્યો છે. તકેદારીના ભાગરૂપે પોલીસ અને રિવરફ્રન્ટ સુરક્ષાકર્મીઓ દ્વારા જમાલપુર પશ્ચિમ રિવરફ્રન્ટ વોક વે પરથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. અમદાવાદની સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
રિવરફ્રન્ટ પર જમાલપુરની સરખામણીએ સુભાસબ્રિજ નજીક સ્થિતિ ગંભીર જોવા મળી છે. નદીના ધસમસતા પાણી રિવરફ્રન્ટના વોક વે પર ફરી વળ્યાં છે. હાલ સ્થિતિ એવી છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે બનાવાયેલા પાળાની ઉપરથી પાણી વહી રહ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કેટલીક મશીનરી પણ પૂરના પાણીમાં તણાઈ ગઈ છે. સુભાસ બ્રિજ રેલવે ટ્રેક નીચે ભયાવહ નજારો જોવા મળ્યો છે.
ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ધરોઈ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે ગાંધીનગરના સંતસરોવરમાં પાણીની આવક વધી છે. સંત સરોવરમાથી હાલ સાબરમતી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે સાબરમતી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે. નદીમાં અત્યાર સુધી ૬૦૦૦૦ ક્્યૂસેકથી વધુ પાણીની આવક થઈ છે.
તંત્ર દ્વારા ગઈકાલથી જ વાસણા બેરેજ ખાતે ૨૫ ગેટ ૬ ફૂટ ખોલી દેવામાં આવ્યા છે. હાલ ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે રિવરફ્રન્ટ ખાતે ધસમસતા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. વાસણા બેરેજની બીજી તરફ નદીમાં પાણીની પુષ્કળ જાવક થઈ રહી છે. હાલ બેરેજ માંથી નદીમાં ૩૫૦૦૦ ક્્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. તકેદારી રૂપે સાબરમતી નદી નજીક આવેલા અમદાવાદ ગ્રામ્ય, ખેડા અને નડિયાદ જિલ્લાના નીચાણવાળા ગામોને સાવચેત કરાયા છે.