GSRTC એ ભારતના હરિત અને એકીકૃત પરિવહનનું નેતૃત્વ સંભાળ્યું

પ્રતિકાત્મક
*ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી સમિટ-૨૦૨૫” યોજાઈ*
*સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ અને નોન-ફેર રેવન્યુ સહિતના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરાઈ*
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ અને સમિટ-૨૦૨૫”નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
‘Accelerating Future Mobility: Green, Integrated and Digitally Driven”ની થીમ પર આયોજિત આ એક-દિવસીય સમિટે ભારતના પરિવહન ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાને મજબૂત કરી છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં તેમજ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કોન્ફરન્સમાં પરિવહન ક્ષેત્રે ભવિષ્યના પડકારો અને નવી તકો માટેના ઉકેલો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત સરકારના બંદર અને વાહન વ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી આર.સી. મીણાએ જણાવ્યું હતું કે, GSRTC દ્વારા પ્રતિદિન રાજ્યના આશરે ૨૭ લાખથી વધુ મુસાફરોને સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. મુસાફરોને ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા ઉપરાંત GSRTCએ પર્યાવરણ સુરક્ષાને પણ એટલું જ મહત્વ આપ્યું છે. જેના પરિણામે આજે ગુજરાત ઇલેક્ટ્રિક અને CNG બસો જેવી નવીન પહેલથી હરિત પરિવહન વ્યવસ્થા તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
આ સમિટમાં GSRTCના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એમ. નાગરાજને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં જાહેર પરિવહન કરતા મુસાફરો આરામ, સલામતી અને વિવિધ પરિવહન માધ્યમો વચ્ચે સીમલેસ કનેક્ટિવિટીની અપેક્ષા રાખે છે. રાજ્ય સરકારના વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની આ અપેક્ષાઓને સંપૂર્ણ પ્રતિબધ્ધતા સાથે પૂર્ણ કરવામાં આવી રહી છે. આ સમિટમાં એસેટ મોનેટાઈઝેશન અને નોન-ફેર રેવન્યુ મોડલ જેવા ભવિષ્યલક્ષી મોડલ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
*SBI સાથે ઐતિહાસિક ભાગીદારી-MOU*
આ સમિટનું સૌથી મોટું આકર્ષણ GSRTC અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) વચ્ચે થયેલો સમજૂતી કરાર (MoU) રહ્યો હતો. SBI અને GSRTC વચ્ચેનો આ કરાર જાહેર પરિવહનમાં નાણાકીય સ્થિરતા અને નવીનતા લાવશે. SBIના અધિકારીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, SBIની ગ્રીન ફાઇનાન્સિંગ પહેલ અગાઉથી જ રૂ.૬૩,૦૦૦ કરોડથી વધુ છે. GSRTC સાથેની આ ભાગીદારી ભારતમાં ટકાઉ પરિવહનને વધુ વેગ આપશે.
આ સમિટમાં ‘ઈ-ગવર્નન્સ મેગેઝિન’નો એક વિશેષાંક લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં GSRTC અને ગુજરાતની હરિત પરિવહન પહેલોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. આ સમિટમાં ટાટા મોટર્સ, ચાર્જઝોન, JSL, એમનેક્સ અને SBI જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત જાહેર અને ખાનગી પરિવહન ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર વિવિધ સંસ્થાઓને “નેશનલ મોબિલિટી એવોર્ડ્સ -૨૦૨૫” એનાયત કરવામાં આવ્યા હતા.
આ સમિટમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ટિકિટિંગ, AI આધારિત ફ્લીટ મેનેજમેન્ટ, સલામતી અને નોન-ફેર રેવન્યુ જેવા મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, GSRTC નાગરિક-કેન્દ્રિત, પર્યાવરણને અનુકૂળ અને ડિજિટલી સશક્ત પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ગુજરાતને ભારતની હરિત અને એકીકૃત મોબિલિટી ક્રાંતિનું નેતૃત્વ કરવા માટેનો સંકલ્પ આ સમિટ દ્વારા વધુ મજબૂત
બન્યો છે.