એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટ કેન્સલ કરી

પ્રતિકાત્મક
(એજન્સી)કાઠમંડુ, ભારતની ટોચની એરલાઈન એર ઈન્ડિયા અને ઈન્ડિગોએ નેપાળમાં ચાલી રહેલા હિંસક આંદોલનને ધ્યાનમાં લેતાં દિલ્હીથી કાઠમંડુ જતી ફ્લાઈટ કેન્સલ કરી છે. ભારત સરકારે પણ નેપાળમાં રહેતાં ભારતીયો તેમજ ભારતીય પ્રવાસીઓ માટે એડવાઈઝરી જાહેર કરી છે.
એર ઈન્ડિયાએ કાઠમંડુની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં નિવેદન આપ્યું છે કે, દિલ્હીથી કાઠમંડુ જતી એઆઈ૨૨૩૧/૨૨૩૨, એઆઈ૨૨૧૯/૨૨૨૦, એઆઈ૨૧૭/૨૧૮ અને એઆઈ૨૧૧/૨૧૨ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા ખાતે અમે અમારા પેસેન્જર અને ક્રૂ સભ્યોની સલામતીને પ્રાધાન્ય આપીએ છીએ.
પરિસ્થિતિનું નજીકથી નીરિક્ષણ કરી રહ્યા છીએ. વધુ વિગતો અને માહિતી રજૂ કરતાં રહીશું. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યાં સુધી નેપાળની કોઈ ફ્લાઈટ ઓપરેટ કરવામાં આવશે નહીં.ભારતના વિદેશ મંત્રાલયે નેપાળમાં ભારતીયો માટે એડવાઈઝરી જાહેર કરી છે.
નેપાળમાં રહેતાં ભારતીયોને સતર્ક રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ સ્થાનિક અધિકારીઓના આદેશનું પાલન કરવા અપીલ કરી છે. નેપાળમાં કરફ્યુ વચ્ચે નેપાળમાં રહેતા અને નેપાળ ફરવા ગયેલા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
નેપાળમાં કોઈપણ પ્રકારની મદદ માટે ભારતીયો કાઠમંડુમાં સ્થિત ભારતીય એમ્બેસીનો સંપર્ક સાધી શકે છે. જેના હેલ્પલાઈન નંબર ૯૭૭-૯૮૦ ૮૬૦ ૨૮૮૧ અને ૯૭૭- ૯૮૧ ૦૩૨ ૬૧૩૪ છે. આ નંબર પર માત્ર વોટ્સએપ કોલિંગ જ થઈ શકશે.