છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે : મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયાં: મુખ્યમંત્રી
Ø ગુજરાત અને બિહારનો સંબંધ આદિકાળથી ખાસ રહ્યો છે
Ø બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે
Ø વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા પ્રયાસરત છે
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે. વડાપ્રધાનશ્રીએ “એક ભારત-શ્રેષ્ઠ ભારત”નો મંત્ર આપ્યો છે, જે આપણા તહેવારોને પણ સાકાર કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂઆત થાય છે.
તેમણે કહ્યું કે, બિહારમાં છઠ મહાપર્વની સાથે સાથે લોકતંત્રના મહાપર્વની ઉજવણીનો ઉત્સાહ છે. છઠ પૂજાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની યાદીમાં સામેલ કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર પ્રયાસરત છે. તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વમાં લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, પરંતુ છઠ પૂજા એકમાત્ર મહાપર્વ છે, જેમાં આથમતા સૂરજની પૂજા કરવામાં આવે છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જન્મ સ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહું મોટું કેન્દ્ર હતું. શ્રી મોદીજીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે ઉમેર્યું કે, ગુજરાતના સપૂત મહાત્મા ગાંધીજીએ આઝાદીનું પહેલું આંદોલન બિહારના ચંપારણથી શરૂ કર્યું હતું, અને ગુજરાતના દાંડીથી મીઠાના સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનત સામે અહિંસક આંદોલનની શરૂઆત કરી હતી. ગુજરાતને બિહારી સહિત અનેક લોકોએ પોતાની કર્મભૂમિ બનાવી છે.
તેમણે ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા સંકલ્પને પાર પાડવા સૌ દેશવાસીઓ સાથે મળીને એક બનીને આગળ વધવા અનુરોધ કરી છઠ મહાપર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા સ્વદેશી અપનાવીએ અને સ્વદેશી ખરીદીને પ્રોત્સાહન આપીએ.
આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં હર્ષ અને ઉલ્લાસથી જોડાયા હતા.
છઠ મહાપર્વ આયોજન સમિતિના અધ્યક્ષ શ્રી ડૉ. મહાદેવ ઝાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા અને છઠ પૂજા ઉત્સવની મહત્ત્વતા વર્ણવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી છઠ મહાપર્વ હવે બિહાર પૂરતુ સીમિત નથી રહ્યું, આજે આ મહાપર્વ સમગ્ર દેશનું મહાપર્વ બન્યું છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાણી, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી એસ. જે. હૈદર, પૂર્વ મંત્રી શ્રી આઈ. કે. જાડેજા, શ્રી ગોરધનભાઈ ઝડફીયા, શ્રી પ્રદીપ પરમાર અને બિહાર સહિતના રાજ્યોના પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
