પ્રજાસત્તાક પર્વ નિમીત્તે દિલ્હી ખાતે યોજાતી પરેડની પેટર્ન પર એકતાનગર ખાતે પ્રથમવાર ભવ્ય પરેડનું આયોજન
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમીત્તે -કેવડીયા ખાતે તા.૩૧મી ઑકટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષે રાષ્ટ્રીય એકતાદિનની ભવ્ય ઉજવણી કરાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી
રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરાશે*
• *એકતાનગર ખાતે રૂ. ૧,૨૧૯ કરોડના વિવિધ માળખાગત સુવિધાઓ અને વિકાસ પ્રોજેક્ટ્સનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરાશે*
રૂ.૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર ધ મ્યૂઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયાનું ખાતમુહૂર્ત તથા ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા 303 કરોડના ખર્ચે નિર્મિત બિરસા મુંડા ભવનનું ઉદ્ઘાટન
સાયક્લોથોન સ્પર્ધામાં તા. ૧૭ નવેમ્બરે દેશભરના સ્પર્ધકો ભાગ લેશે: સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું અનાવરણ કરાશે

અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી ૩૧ ઓક્ટોબરની એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણીએ આ અંગે મીડિયાને વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર રાષ્ટ્રીય એકતા દિવસના અવસરે એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય મૂવિંગ પરેડનું આયોજન, વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો તથા રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા ‘એકત્વ’ થીમ આધારિત ૧૦ ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વડાપ્રધાનશ્રી તા. ૩૦ અને ૩૧ ઓક્ટોબરે કેવડીયા એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં થનારી આ ઉજવણીમાં તેઓ ૩૦ ઓક્ટોબરના રોજ સાંજે ૫.૩૦ કલાકે વડોદરાથી એકતાનગર ખાતે આવી પહોંચશે અને ઈ-બસોને લીલી ઝંડી આપશે તથા એકતાનગરમાં રૂ. ૧,૨૧૯ કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે તથા તેઓ સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કાનું અને ટપાલ ટિકીટનું પણ અનાવરણ કરશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતને જે ૧,૨૧૯ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોની ભેટ આપવાના છે તેમાં ૩૬૭ કરોડના ખર્ચે નિર્માણ થનારા ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયાના ખાતમુહૂર્ત સહિત કુલ રૂ. ૭૦૦ કરોડથી વધુ રકમના ખાતમુહૂર્ત તથા આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડાયેલા ૩૦૩ કરોડના ખર્ચે નિર્મીત બિરસા મુંડા ભવનના ઉદ્ઘાટન સહિત કુલ ૫૧૯ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઉદ્ઘાટન પણ કરશે.
તેમણે ઉમેર્યું કે, ૩૧ મી ઓક્ટોબરે સવારે વડાપ્રધાનશ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવવંદના કરશે તથા એકતાનગર ખાતે ભારત પર્વ અંતર્ગત ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે થનારી સાયક્લોથોન ઇવેન્ટનો કર્ટન રેઈઝર લૉન્ચ કરશે. આ ઉપરાંત ૧૬ નવેમ્બરે ભારત અને ગુજરાત સરકારના વિશેષ મહાનુભાવો સાથે સાયકલિંગ ફન રાઈડ અને ૧૭ નવેમ્બરે ગુજરાત સરકારના રમતગમત વિભાગના સહયોગથી સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી સાયકલ ચાલકો સહભાગી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં BSF, CISF, ITBP, CRPF, SSB, J&K, પંજાબ, આસામ, ત્રિપુરા, ઓડિશા, છત્તીસગઢ, કેરાળા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને NCC મળીને કુલ ૧૬ કન્ટીજન્ટ્સ સહભાગી થશે.
એટલું જ નહિં, ઓપરેશન સિંદૂરના BSFના ૧૬ પદક વિજેતા અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે. આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ-અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડીંગ ટીમ(Heralding Team)ના ૧૦૦ જેટલા સદસ્યો કરવાના છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, દર વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસના ઉપલક્ષ્યમાં કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ દ્વારા આરંભ કાર્યક્રમનું આયોજન એકતાનગર ખાતે કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ફોર એડમિનિસ્ટ્રેશન-LBSNAAના ૬૬૦ જેટલા પ્રશિક્ષણાર્થીઓ ભાગ લેવાના છે તેનો પણ વડાપ્રધાનશ્રી પ્રારંભ કરાવશે અને તાલીમાર્થી સનદી અધિકારીઓને પ્રેરક માર્ગદર્શન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું.
