Western Times News

Gujarati News

સાબરમતી રિવરફ્રન્ટ ૧૩ નવેમ્બરથી વિશ્વ સાહિત્યનું સરનામું બનશે

પ્રતિકાત્મક

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫ -૧૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ, ૧૦૦૦થી વધુ પ્રકાશકોનાં પુસ્તકોનો અનેરો રસથાળ

(પ્રતિનિધિ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ ‘અમદાવાદ નેશનલ બુક ફેર’ નામથી રાષ્ટ્રીય પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવે છે, જેને વર્ષ-૨૦૨૪થી ‘અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેર’ નામકરણ કરાયું છે.

આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના સંયુક્ત ઉપક્રમે હેરિટેજ સિટી અમદાવાદને સાહિત્ય અને પુસ્તક પ્રકાશન ક્ષેત્રે વિશ્વ ફલક પર પહોંચાડવાના ઉદ્દેશ સાથે વાંચે ગુજરાત ૨.૦ અંતર્ગત આગામી તારીખ ૧૩ થી ૨૩ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે ‘અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન દેવાંગ દાણીના જણાવ્યા મુજબ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫માં અનેક રાષ્ટ્રીય સ્તરના ખ્યાતનામ વક્તાઓ પણ ઉપસ્થિત રહેશે. જેમાં લેફ્‌ટનન્ટ જનરલ કે.જે.એસ. ઢિલ્લોન, કે. વિજયકુમાર તેમજ સ્વપ્નિલ પાંડેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આ બુક ફેરના વિવિધ સત્રોમાં પ્રખ્યાત ગુજરાતી લેખકો શ્રોતાઓનું માર્ગદર્શન કરશે. અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-૨૦૨૫ના મુખ્ય આકર્ષણો અને કાર્યક્રમો માં ‘સાહિત્ય મને ગમે છે’ એ વિષય પર આયોજીત કાર્યક્રમમાં પૂજ્ય મોરારી બાપુ, તુષાર શુક્લા, ભાગ્યેશ ઝા અને જગદીશ ત્રિવેદી જેવા વક્તાઓ સાહિત્ય અને આધ્યાત્મિકતાના સંગમ પર પોતાના વિચારો વ્યક્ત કરશે. ‘લોકસાગરના મોતી’માં જાણિતા ગાયક કિર્તિદાન ગઢવી લોકગીતો અને લોકસાહિત્ય પર જીવંત પ્રદર્શન કરશે.

‘વન્સ મોરણી વિરાસત -ગુજરાતી કાવ્ય સંગીત’ કાર્યક્રમમાં કવિ અંકિત ત્રિવેદી અને ગ્રુપ ગુજરાતી કાવ્ય પર જીવંત સંગીતમય પ્રસ્તુતિ આપશે. કાવ્યરંગ – ગીત ગઝલ / મુશાયરો કાર્યક્રમમાં જાણીતા ગઝલકારો અને કવિઓ દ્વારા કાવ્યપાઠ યોજાશે, જેમાં સંજુ વાલા, રાજેન્દ્ર શુક્લા, કિરણસિંહ ચૌહાણ, ભાવેશ ભટ્ટ, ભવિન ગોપાણી, કૃષ્ણા દવે, ઉષા ઉપાધ્યાય, હર્ષવી પટેલ, દલપત પઢીયાર, રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ અને હર્ષ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહેશે.

‘શબ્દ સંસાર’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર અને લેખક જય વસાવડા તેમના જીવનમાં સાહિત્યના પ્રભાવ વિષે વાત કરશે. ‘શબ્દ સંસાર (ભાગ-૨)’માં જાણીતી લેખિકા કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાહિત્ય અને જીવન વચ્ચેના સંબંધ પર સંવાદ કરવામાં આવશે.

‘શબ્દ સંસાર (ભાગ-૩)’માં લેખક સ્વપ્નિલ પાંડે દ્વારા સાહિત્યિક ચર્ચા કરશે. જ્યારે ‘વાંચીકમ’ કાર્યક્રમમાં લોકપ્રિય ગુજરાતી લઘુકથાઓનું નાટ્યાત્મક અને સંગીતમય વાચનની પ્રસ્તુતિ નૈષધ પુરાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનમાં ૧૦૦થી વધુ સાહિત્યિક કાર્યક્રમો, ૩૦૦થી વધુ પ્રકાશકોના સ્ટોલ સહિત ૧૦૦૦થી વધુ પ્રકાશકોના પુસ્તકો સાથે અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ ગુજરાત સહિત દેશભરના પુસ્તક રસિકો અને સાહિત્યપ્રેમીઓ માટે સાહિત્યનું સરનામું બનશે.

આ પુસ્તકોના રસથાળની સાથોસાથ અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં મુલાકાતીઓ માટે લેખક મંચ, પ્રજ્ઞા શિબિર, જ્ઞાન ગંગા, રંગમંચ, અભિકલ્પ સહિતના આકર્ષણો ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.