આતંકવાદીઓનો D6 કોડ શું હતો? ડોકટર શાહિનની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો
તપાસ એજન્સીઓને ડોકટર શાહીનના કબજામાં ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે-ફરીદાબાદ મોડ્યુલ અને અલ ફલાહ યુનિવર્સિટી પણ કેટલી હદે આતંકી અને દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી છે તે બહાર આવ્યું છે.
(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી લાલ કિલ્લા ખાતે કારમાં કરાયેલ આત્મઘાતી વિસ્ફોટની તપાસમાં ડોકટર શાહીનની પુછપરછના આધારે તપાસ એજન્સીઓએ કેટલાક ખુલાસા કર્યાં છે. ડોકટર શાહિન પાસેથી જુદા જુદા સરનામાંવાળા પાસપોર્ટ મળી આવ્યા છે.
એ પાસપોર્ટની ચકાસણી કરાતા ડોકટર શાહિન થાઇલેન્ડ અને પાકિસ્તાન સહિત અનેક દેશનો પ્રવાસ કરી ચૂકી છે. જૈશ એ મહોમ્મદની મહિલા પાંખની ડોકટર શાહિન પાસેથી ડી-૬ કોડ મળી આવ્યો હતો. જેની પુછપરછમાં ખૂબ મોટો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે.
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ અંગે અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. જેના આધારે સુરક્ષા દળોએ ખાસ કરીને કાશ્મીરમાંથી આતંકી હરોળ પકડી પાડી છે. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમ તેમ નવા ખુલાસા થઈ રહ્યા છે. ફરીદાબાદ મોડ્યુલ અને અલ ફલાહ યુનિવર્સિટી પણ કેટલી હદે આતંકી અને દેશ વિરોધી પ્રવૃતિમાં સંડોવાયેલી છે તે બહાર આવ્યું છે.
દરમિયાન, ડોકટર શાહીન વિશે પણ નવા ખુલાસા થયા છે. સુરક્ષા એજન્સીના સૂત્રો દ્વારા મળી રહેલા અહેવાલો અનુસાર, ડોકટર શાહિને, ૨૦૧૩ માં થાઇલેન્ડની ટૂર કરી હતી. એવું બહાર આવ્યું છે કે ડોકટર શાહીને કાનપુરમાં નોકરી છોડ્યા પછી ૨૦૧૩માં થાઇલેન્ડ ગઈ હતી. તપાસ એજન્સીઓને ડોકટર શાહીનના કબજામાં ત્રણ પાસપોર્ટ મળી આવ્યા છે.
એક પાસપોર્ટ કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજનું સરનામું ધરાવે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, બીજા પાસપોર્ટનું સરનામું લખનૌનું છે અને ત્રીજા પાસપોર્ટનું સરનામુ ફરીદાબાદનું છે. ત્રણેય પાસપોર્ટમાં વાલીનું નામ પણ અલગ અલગ છે. એકમાં પિતાનું નામ વાલી તરીકે, બીજામાં પતિનું નામ વાલી તરીકે, ત્રીજામાં ભાઈનું નામ વાલી તરીકે નોંધાયેલું છે.
એક પાસપોર્ટમાં ઇન્ટિગ્રલ યુનિવર્સિટીનું સરનામું દર્શાવવામાં આવ્યું છે, જ્યાં તેનો ભાઈ પરવેઝ કામ કરતો હતો. તપાસ એજન્સીઓ શાહીનની વિદેશ યાત્રાની વિગતો પણ ચકાસી રહી છે. પાસપોર્ટની તપાસ કર્યા પછી, એવું બહાર આવ્યું કે શાહીન ત્રણ વખત પાકિસ્તાન ગઈ હતી અને છ વખત અન્ય દેશોની યાત્રા કરી હતી.
