Western Times News

Gujarati News

દારુની બે બ્રાન્ડ વચ્ચેના ટ્રેડમાર્ક વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો

પ્રતિકાત્મક

વ્હીસ્કીના ટેટ્રા પેક સામે સુપ્રીમ કોર્ટે સખત વાંધો વ્યક્ત કર્યાે

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં દારુની બે બ્રાન્ડ વચ્ચેના ટ્રેડમાર્ક વિવાદને લઈને સોમવારે રસપ્રદ સુનાવણી થઈ હતી. પહેલા દારુની બોટલ દેખાડવામાં આવી અને પછી દારુવાળા ટેટ્રા પેક. આ જોયા પછી કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરી હતી.

જ્યારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ વ્હીસ્કીના ટેટ્રા પેક કોર્ટમાં દેખાડ્યા તો જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેચ આશ્ચર્યમાં પડી ગઈ. આ કેસની સુનાવણી વખતે જસ્ટિસ સૂર્યકાંતે કેટલાક આકરાં સવાલ કરીને પૂછ્યું કે આની મંજૂરી આપવી જોઈએ?

આ શાળા અને કોલેજોમાં સરળતાથી લઈ શકાય છે. પહેલીવાર હું જોઈ રહ્યો છું કે સરકાર રેવન્યુમાં વધુ રસ દાખવી રહી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ જોયમલ્યા બાગચીએ પણ કહ્યું કે લોકોના સ્વાસ્થ્યની સાથે સમજૂતિ થઈ રહી છે.વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ પણ કહ્યું કે ટેટ્રા પેક જોવામાં બિલકુલ દારુ જેવો લાગતો નથી અને પેક પર કોઈ ચેતવણી પણ હોતી નથી. આના પર કોર્ટે પૂછ્યું કે સરકાર મંજૂરી કેવી રીતે આપી રહી છે?

વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ પણ કહ્યું કે સરકારો રેવન્યુમાં રસરુચિ રાખે છે, સ્વાસ્થ્યની નહીં.હકીકતમાં, આ ટિપ્પણી કોર્ટે ત્યારે કરી, જ્યારે એ જોન ડિસ્ટિલરીઝ વિરુદ્ધ એલાઇડ બ્લેન્ડર્સ એન્ડ ડિસ્ટિલર્સના ટ્રેડમાર્ક વિવાદ પર સુનાવણી કરી રહી હતી.

‘ઓરિજિનલ ચોઇસ’ વિરુદ્ધ ‘ઓફિસર્સ ચોઇસ’ ટ્રેડમાર્ક વિવાદમાં મદ્રાસ હાઈકોર્ટે એલાઇડ બ્લેન્ડર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે હવે આ મામલાને પૂર્વ જસ્ટિસ એલ.નાગેશ્વર રાવની પાસે મધ્યસ્થી માટે મોકલી દીધો છે, એટલે અરસપરસ સમજૂતિ અથવા સમધાન થઈ શકે.

આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે મધ્યસ્થીની પ્રક્રિયા સમયસર થવી જોઈએ. સાથે જ સુપ્રીમ કોર્ટની બેન્ચે કંપનીઓને કહ્યું કે ટેટ્રા પેકમાં દારુ વેચવાનો મુદ્દો ‘મોટા જાહેર હિત’ સાથે જોડાયેલો છે, જેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. ટેટ્રા પેક સસ્તા હોવાના કારણે તેનું વેચાણ વધુ થાય છે અને તેની પોર્ટેબિલિટી તથા પેકિંગ બાળકો તથા કિશોરો માટે ગંભીર જોખમ બની શકે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.