રાજ્ય સરકારની ૧૨મી વાર્ષિક ચિંતન શિબિર તા. ૨૭ થી ૨૯ નવેમ્બરે વલસાડના શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાં યોજાશે
*રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી આ ચિંતન શિબિરની ૧૨મી શૃંખલામાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે*
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સૌ સભ્યો સહિત ૨૪૧ ઉચ્ચ સનદી અધિકારીઓ શિબિરમાં સહ ભાગી થશે*
*શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરાશે*
રાજ્ય સરકારની ૧૨મી ચિંતન શિબિર આગામી ૨૭ થી ૨૯ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુર નજીકના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાશે. “સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ”ની થીમ પર આયોજિત ચિંતન શબિરમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, વરિષ્ઠ સચિવો અને સનદી અધિકારીઓ સહભાગી થશે તેમ પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીશ્રીએ ઉમેર્યુ હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશમાં યોજાનાર ૧૨મી ચિંતન શિબિરમાં મંત્રી મંડળના સભ્યો સહિત ૨૪૧ જેટલા આઈ.એ.એસ, આઈ.પી. એસ સહિત ઉચ્ચ સનદી અધિકારીઓ સહભાગી થશે. જેમાં વિવિધ ચર્ચા સત્રો થકી ગુજરાતના વિકાસનો રોડમેપ તૈયાર કરાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય વહીવટને વધુ નાગરિક-કેન્દ્રિત બનાવી તેની અસરકારકતામાં વધારો કરવાના હેતુથી વર્ષ ૨૦૦૩થી ચિંતન શિબિરની શરૂઆત કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે આ પરંપરાને આગળ ધપાવતા પ્રશાસનિક સમયાનુરૂપ ટેકનોલોજી અને પારદર્શકતા સાથે સંવેદનશીલતાની નવી દિશા આપવા આ વર્ષે ૧૨મી વાર્ષિક ચિંતન શિબિરનું આયોજન કર્યું છે તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, આ વર્ષની ચિંતન શિબિરમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવાક્ષેત્રની વૃદ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસિત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, હરિત ઊર્જા અને પર્યાવરણ જેવા વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરવામાં આવશે.
ચિંતન શિબિરનો પ્રારંભ તા. ૨૭ નવેમ્બરના રોજ ઉદ્ઘાટન સત્રથી થશે તથા બાકીના બે દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ચર્ચા સત્ર, જૂથ ચર્ચા, બેઠકો યોજાશે. ત્રી દિવસીય ચિંતન શિબિર દરમિયાન વિવિધ વિષયોના નિષ્ણાંત વક્તાઓના વ્યાખ્યાનો પણ યોજાશે.
આ ઉપરાંત શિબિરના સમાપન સમારોહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને કર્મયોગી પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
