જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી : તમિલનાડુ રાજ્યપાલ
સરદાર પટેલ ‘એક ભારત’ના શિલ્પી અને ગાંધીજીની શક્તિના આધારસ્તંભ : કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ.પી. સિંગ બધેલ
સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા યાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં માનનીય પ્રવચનો
ભારત રત્ન સરદાર વલ્લભભાઈની સાર્ધ શતી શતાબ્દિ અનુસંધાને કરમસદથી નીકળેલી સરદાર@૧૫૦ પદયાત્રાના બીજા દિવસે આસોદર ખાતે યોજાયેલી સરદાર ગાથામાં સહભાગી બનેલા તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ જણાવ્યું કે, ભારત દેશ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વએ દેશને નવી ઊંચાઈએ લઈ જવામાં સફળતા હાંસલ કરી છે. તેમના નૈતિક અને વ્યવહારું નેતૃત્વએ સમગ્ર વિશ્વને નવી રાહ આપી છે.
રાષ્ટ્રીય એકતા પદયાત્રાના કાર્યક્રમ દરમિયાન, તામિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિએ આસોદર ખાતે પોતાના વક્તવ્યમાં સરદાર વલ્લભભાઈ પટેલના અપ્રતિમ યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરદાર પટેલની કર્મ ભૂમિ થી શરૂ થઈને વિશ્વની સૌથી મોટી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટી, એકતા નગર, કેવડીયા ખાતે પૂર્ણ થશે.
રાજ્યપાલશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, જે જ્ઞાતિ, વર્ગ, ક્ષેત્ર કે ધર્મ પોતાના પૂર્વજોનું સન્માન નથી કરતો, તે ક્યારેય આગળ વધતો નથી.
શ્રી રવિએ સરદાર પટેલને ‘યુગ પ્રવર્તક‘ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે સરદાર પટેલના ત્રણ મુખ્ય યોગદાનને યાદ કર્યા: દેશને આઝાદ કરાવવામાં મદદ, ૫૬૨ રિયાસતોનું ભારતમાં વિલય કરાવવું, અને અંગ્રેજી શાસન વિરુદ્ધ ખેડૂતોનું અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટું આંદોલન બારડોલીમાં કરવું.
રાજ્યપાલશ્રીએ કહ્યું કે ગુજરાતના સરદાર સૌથી અસરદાર સરદાર છે, અને આ ઉપાધિ કોઈ પાર્ટીના કાર્યકર્તાઓએ નહીં, પરંતુ મહાત્મા ગાંધીએ નેહરુજીની હાજરીમાં આપી હતી, જે એક મોટી વાત છે. પ્રોફેસર તરીકે, તેમણે બિસ્માર્કના ‘ધ પૉલિસી ઑફ બ્લડ ઍન્ડ આયર્ન‘નો ઉલ્લેખ કર્યો, પરંતુ ભારતમાં જો કોઈને લોહ પુરુષ કહેવામાં આવે, તો બીજા કોઈને તે કહેવાનો નૈતિક અધિકાર નથી.
રાજ્યપાલે રિયાસતોના વિલયની જટિલતા સમજાવી કે કેવી રીતે રિયાસતો પાસે પોતાની સેના, તોપખાનું, ખજાનો અને પોલીસ હતી. તેમણે પ્રશ્ન કર્યો કે જો રિયાસતોનું વિલય ન થયું હોત, તો આઝાદી અડધી અધૂરી રહેત. સરદાર પટેલે બાય હુક ઍન્ડ બાય કૂક જૂનાગઢ અને હૈદરાબાદના નિઝામ સહિત ૫૬૨ રિયાસતોનું વિલય કરાવ્યું. રાજ્યપાલે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો કાશ્મીરની રિયાસતની જવાબદારી પણ સરદાર પટેલને મળી હોત, તો આજે ઘણી સમસ્યાઓનો હલ થઈ ગયો હોત.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી એસ. પી. સિંગ બધેલે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં સરદારને ‘ભારતની એકતાના સૂત્રધાર, શિલ્પી અને મહાનાયક‘ તરીકે બિરદાવ્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી સરદાર પટેલને પાઠ્યપુસ્તકોમાંથી ભૂલાવવાનો પ્રયાસ થયો હોવા છતાં, તેઓ દરેક ભારતીયના હૃદયની ધડકન છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો, જેમણે દિલ્હી આવ્યા પછીના પ્રથમ કાર્યક્રમોમાં સરદારની યાદો અને તેમની વિરાસતને પુન: જાગૃત કરવાનું કાર્ય કર્યું. મંત્રીશ્રીએ પદયાત્રામાં જોવા મળેલા અસાધારણ ઉત્સાહ અને ઊર્જાને બિરદાવી હતી.
તેમણે સરદાર પટેલના સર્વોચ્ચ યોગદાનની વાત કરતા કહ્યું કે, જો સરદાર ન હોત, તો આજે આપણે જે ‘એક ભારત’ જોઈ રહ્યા છીએ, તેનું સ્વરૂપ શું હોત તે કહેવું મુશ્કેલ છે. તેમણે સમજાવ્યું કે અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા, ત્યારે તેમણે 562 થી વધુ રિયાસતોને ‘એક સ્વતંત્ર દેશ રાજ્ય‘ ઘોષિત કરીને છોડી હતી, જેનો અર્થ ભારતમાં 500થી વધુ સ્વતંત્ર રાજ્યોની સંભાવના હતી.
સરદારે માત્ર બે વર્ષથી પણ ઓછી અવધિમાં આ બધા રાજ્યોને અસાધારણ કુશળતા અને દૃઢતા સાથે એક કરીને ‘પૂરા ભારતને એક‘ કરી દીધુ. તેમણે કહ્યું કે, સરદારના માર્ગમાં આવતી અડચણો ફક્ત રાજાઓ તરફથી જ નહોતી, પણ તત્કાલીન વડાપ્રધાન પણ હૈદરાબાદને ‘બીજો દેશ‘ કહીને સૈન્ય કાર્યવાહી ટાળતા હતા, જે દર્શાવે છે કે સરદારને આંતરિક પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર પટેલે મહાત્મા ગાંધીના સ્વતંત્રતા સંગ્રામમાં તેમની શક્તિ અને સામાન્ય લોકોમાં તેમની સાખને જાળવી રાખીને મજબૂત કરનાર વ્યક્તિ તરીકેનું કાર્ય કર્યું. તેમણે ભારપૂર્વક કહ્યું કે જો સરદાર ન હોત, તો કદાચ ગાંધીજીની વાર્તા અધૂરી રહી જાત. તેમણે 1917માં ગુજરાત સભામાં લવાયેલા ક્રાંતિકારી પરિવર્તનનું ઉદાહરણ આપી વધુમાં જણાવ્યું હતું કે, સરદારે ‘વેઠ પ્રથા‘ (બંધુઆ મજૂર જેવી સેવાઓ) સામે સફળ આંદોલન ચલાવ્યું, જેના પરિણામે અંગ્રેજી શાસનને આ દમનકારી પ્રથા સમાપ્ત કરવી પડી.
મંત્રીશ્રીએ અસહયોગ આંદોલન દરમિયાન સરદારના અડગ નેતૃત્વને યાદ કર્યું. તેમણે કહ્યું કે, ગાંધીજીના માર્ગદર્શનને જમીન પર સાકાર કરવાનું કાર્ય સરદારનું હતું. 1922માં ચૌરી ચૌરાની ઘટના બાદ જ્યારે ગાંધીજીને છ વર્ષની સજા થઈ, ત્યારે જેલ જતાં તેમણે અન્ય કોઈ તરફ નહીં, પણ સરદાર તરફ જોઈને બધી જવાબદારી તેમને સોંપી હતી.
સરદારે ગુજરાતીઓને આહવાન કરીને ગાંધીજીનો સત્યાગ્રહ, અસહયોગ, અને અંગ્રેજી વસ્તુઓ/ખિતાબો/અદાલતોનો બહિષ્કાર જારી રાખ્યો અને તેને ‘ગુજરાતની કસોટી‘ ગણાવી. આ ઉપરાંત, જ્યારે નાગપુરના અંગ્રેજ મ્યુનિસિપલ કમિશનરે રાષ્ટ્રીય ધ્વજ (તિરંગા) સાથે માર્ચ કરવા પર પ્રતિબંધ લગાવ્યો, ત્યારે સરદારે ગુજરાતથી નાગપુર જઈને તે આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું અને ‘રાષ્ટ્રીય તિરંગા માર્ચ‘ સફળતાપૂર્વક યોજીને કુશળ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સરદાર સભાના પ્રારંભમાં નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ સ્વાગત પ્રવચન કરી સરદાર ગાથાની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન ગામના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દંડક શ્રી બાલકૃષ્ણ શુકલ, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, અગ્રણીઓ શ્રી વિજયભાઈ પટેલ, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
