યુરોપની એરલાઇન્સે ઇન્ડિગો જેવું સંકટ થતાં રૂ.૧૮૮ કરોડ વળતર ચૂકવ્યુ હતું
નવી દિલ્હી, છેલ્લાં એક સપ્તાહથી ચાલી રહેલાં ઇન્ડિગો સંકટમાં અત્યાર સુધી કુલ ૪૫૦૦ ફ્લાઇટ રદ થઇ ચૂકી છે, તેમ છતાં દેશના જુદા જુદા એરપોર્ટ ઉપર રઝળપાટ કરતાં મુસાફરોની યાતનાઓની કોઇને કશી પડી નથી. ઇન્ડિગો દ્વારા ઇરાદાપૂર્વક દેશમાં ઉભા કરાયેલાં આ સંકટના પગલે યુરોપની એરલાઇન્સ કંપની રાયનએરના સંકટની યાદ આવી ગઇ છે.
૨૦૧૭ની સાલમાં રાયનએર કંપનીને પોતાની ૨૦૦૦ ફ્લાઇટ કેન્સલ કરી હતી જેના પગલે તેને ૪ લાખ મુસાફરોને રૂ. ૧૮૮ કરોડનું તોતિંગ વળતર ચૂકવવાની ફરજ પડી હતી. યુરોપના એર ટ્રાવેલ અધિકાર એક્ટ ઇયુ-૨૬૧માં ફ્લાઇટ મોડી પડે કે કેન્સલ થાય તો એ સંજોગોમાં મુસાફરોને આર્થિક વળતર ચૂકવી આપવાની જોગવાઇ રહેલી છે.જોગ-સંજોગે રાયનએર અને ઇન્ડિગો બંને કંપનીઓ સસ્તા ભાડામાં લોકોને હવાઇ મુસાફરી કરાવતી કંપનીઓ છે અને બંનેના સંકટનું કારણ પણ એકસમાન છે, જરૂર કરતા ઓછા પાયલટ અને રોસ્ટરની સમસ્યા જેના કારણે સંખ્યાબંધ ફ્લાઇટને કેન્સલ કરવાની નોબત આવી.
ઓછા પાયલટના કારણે જ રાયનએરનું સંકટ ઉભું થયું હતું અને ઓછા પાયલટના કારણે જ ઇન્ડિગોએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશના એર ટ્રાવેલ માર્કેટનો ૬૩ ટકા હિસ્સો ધરાવતી ઇન્ડિગો એરલાઇન્સને તેની ગંભીર બેદરકારીના કારણે સરકારે જે નોટિસ ફટકારી હતી તેનો જવાબ આપવાની અવધી આજે સાંજે પૂરી થઇ હતી.
સંસદમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી રામમોહન નાયડુએ આજે કહ્યું હતું કે સરકાર ખુદ ઇચ્છી રહી છે કે એર ટ્રાવેલ માર્કેટમાં વધુને વધુ કંપનીઓનો પ્રવેશ થાય. આયરલેન્ડની રાયનએર યુરોપની સૌથી મોટી કંપની છે.
આયરલેન્ડના એવિયેશન માર્કેટનો ૫૦ ટકા થી વધુ હિસ્સો ધરાવતી રાયનએર કંપનીએ ૨૦૧૭ના સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાયલટની રોસ્ટર સમસ્યાના કારણે ૨૦૦૦ ફ્લાઇટ કેન્સલ કરી દીધી હતી, જેનો બોગ ૪ લાખ મુસાફરો બન્યા હતા, પરંતુ યુરોપના કડક કાયદાની જોગવાઇના કારણે તેને મુસાફરોને વળતર ચૂકવવાની ફરજ પડી હતી.SS1MS
