2027ની વસતી ગણતરી: ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા કરાશે
AI Image
૨૦૨૭ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે
(એજન્સી)નવી દિલ્હી, કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૭ની રાષ્ટ્રીય વસ્તી ગણતરી ડિજિટલ માધ્યમથી કરવાનો નિર્ણય લીધો છે. મંગળવારે લોકસભામાં આ અંગે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે, ભારતના ઇતિહાસમાં આ પ્રથમ વખત હશે જ્યારે વસ્તી ગણતરી પરંપરાગત કાગળ આધારિત ફોર્મ્સને બદલે મોબાઇલ એપ્લિકેશન અને વેબ પોર્ટલ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
સાંસદ સનાતન પાંડેના લેખિત પ્રશ્નનો જવાબ આપતા મંત્રી રાયે જણાવ્યું કે, વસ્તી ગણતરી માટે એક વિશેષ ડિજિટલ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેના દ્વારા સમગ્ર દેશમાં પ્રક્રિયાઓનું મોનિટરિંગ અને વ્યવસ્થાપન કરવામાં આવશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે નાગરિકો પોતે તેમની માહિતી ઓનલાઈન ભરી શકશે, જ્યારે ફિલ્ડ અધિકારીઓ મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરશે. વસ્તી ગણતરીની નિર્ધારિત પદ્ધતિ મુજબ, દરેક વ્યક્તિની માહિતી તે સ્થળે નોંધવામાં આવશે જ્યાં તે ગણતરીના સમયગાળા દરમિયાન હાજર હશે.
આ સિસ્ટમ ૨૦૨૭માં પણ જાળવી રખાશે. આ ઉપરાંત, વ્યક્તિનું જન્મસ્થળ, છેલ્લું નિવાસસ્થાન, વર્તમાન સ્થળે રહેવાનો સમયગાળો અને સ્થળાંતરનું કારણ જેવી પ્રવાસન સંબંધિત માહિતી પણ ડિજિટલ રીતે નોંધવામાં આવશે. મંત્રી રાયે એ પણ જણાવ્યું હતું કે વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલાં પ્રશ્નાવલીને કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રાજપત્રમાં સૂચિત કરવામાં આવશે.
આ પ્રક્રિયા પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને તમામ રાજ્યો તેમજ એજન્સીઓને સમયસર તૈયારી કરવાની તક આપવા માટે અનિવાર્ય છે. સરકારનું માનવું છે કે ડિજિટલ વસ્તી ગણતરીના કારણે ડેટા પ્રોસેસિંગ ઝડપી બનશે,
ભૂલોની શક્્યતા ઘટશે અને અંતિમ રિપોર્ટ અગાઉની તુલનામાં વધુ ભરોસાપાત્ર તથા સમયસર ઉપલબ્ધ થઈ શકશે. નિષ્ણાતોના મતે, ડિજિટલ માધ્યમથી થયેલી આ વસ્તી ગણતરી ભવિષ્યના નીતિ નિર્માણ, શહેરી આયોજન, સ્થળાંતરના વલણો અને સામાજિક-આર્થિક સર્વેક્ષણોને વધુ સારી રીતે સમજવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
