દેવાળિયું પાકિસ્તાન પોતાની એરલાઇન્સ પીઆઈએનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે
ઈસ્લામાબાદ, સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, ખાનગીકરણ પછી સરકારની કોઈ ભૂમિકા ન રહે તેવી શરતે બિડરો દ્વારા એરલાઇન્સના મેનેજમેન્ટના સંપૂર્ણ નિયંત્રણની માગ કરવામાં આવતા પાકિસ્તાન સરકારને પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સમાં પોતાનો સંપૂર્ણ ૧૦૦ ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લેવાની ફરજ પડી છે. બિડિંગ ૨૩ ડિસેમ્બરે યોજાવાની છે અને શરૂઆતમાં નુકસાનમાં ચાલતી રાષ્ટ્રીય એરલાઇનના ૭૫ ટકા શેર માટે બિડિંગ થશે.
વિજેતા બિડરને બિડિંગ બાદ એક મહિનાની અંદર બાકી રહેલા ૨૫ ટકા શેર ૧૨ ટકા પ્રીમિયમ સાથે ખરીદવાનો વિકલ્પ આપવામાં આવશે. આ વધારાના ૧૨ ટકા ભાવનો ચાર્જ એટલા માટે લેવામાં આવે છે કે ખરીદદારને તાત્કાલિક ચુકવણી કરવાની બદલે એક વર્ષ સુધી ચુકવણી મુલતવી રાખવાની મંજૂરી આપવામાં આવશે.
અધિકારીઓએ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારને જણાવ્યું કે સરકારને બિડ રકમમાંથી ફક્ત ૭.૫ ટકા જ રોકડરૂપે મળશે, જ્યારે ૯૨.૫ ટકા રકમ પીઆઈએના પુનર્જીવન માટે સીધા જ તેમાં પુનરનિર્વેશ કરવામાં આવશે. ખાનગીકરણ કમિશનના અધિકારીઓએ જણાવ્યું કે તમામ ચાર બિડરો ખાનગીકરણ પછી પીઆઈએમાં સરકારની કોઈ ભૂમિકા ન રહે તેવી માગ કરી રહ્યા હોવાથી ફેડરલ સરકાર ૧૦૦ ટકા શેર વેચી રહી છે
.લક્કી સિમેન્ટ કન્સોર્ટિયમ, આરિફ હબીબ કન્સોર્ટિયમ, ફોજી ફાઉન્ડેશનની માલિકીની ફોજી ફર્ટિલાઇઝર અને એર બ્લૂ જેવી મોટી વ્યાવસાયિક જૂથો પીઆઈએ માટે બિડ કરી રહ્યા છે.
વડાપ્રધાનના ખાનગીકરણ બાબતોના સલાહકાર મુહમ્મદ અલી એ આ નિર્ણયની પુષ્ટિ કરતા જણાવ્યું કે તમામ બિડરો સરળ નિર્ણય પ્રક્રિયા માટે ઓછામાં ઓછો ૭૫ ટકા હિસ્સો ઈચ્છતા હતા, જ્યારે કેટલાકે ૧૦૦ ટકા માલિકીની માગ કરી હતી.આ પહેલા વડાપ્રધાન શેહબાઝ શરીફે માત્ર ૬૦ ટકા હિસ્સો વેચવાની યોજના સૂચવી હતી, પરંતુ ૨૦૨૪માં તે પગલું ગંભીર ખરીદદારોને આકર્ષી શક્યું નહોતું.SS1MS
