ઈન્ડિગો એરલાઈનને રૂ.૨૨ કરોડથી વધુનો મોટો દંડ ફટકારાયો
File Photo
મુસાફરોની હાલાકી પર ડીજીસીએએ કડક વલણ અપનાવ્યું
(એજન્સી)નવી દિલ્હી, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઈન્ડિગો એરલાઈન પર ૨૨.૨ કરોડ રૂપિયાનો ભારે દંડ લગાવ્યો છે. આ કાર્યવાહી ગયા વર્ષે ડિસેમ્બરની શરૂઆતમાં ફ્લાઈટ્સમાં થયેલી ભારે ગરબડ અને વિલંબને પગલે કરવામાં આવી છે. નોંધનીય છે કે ૩ થી ૫ ડિસેમ્બર ૨૦૨૫ વચ્ચે ઇન્ડિગોની ૨,૫૦૭ ફ્લાઇટ્સ રદ થઈ હતી અને ૧,૮૫૨ ફ્લાઇટ્સ મોડી પડી હતી.
આ કારણે દેશના વિવિધ એરપોર્ટ પર ત્રણ લાખથી વધુ મુસાફરો ફસાયેલા રહ્યા હતા અને તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ મામલાની ગંભીરતાને જોતા સરકારના નિર્દેશ પર એક તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ આવ્યા બાદ હવે આ દંડ નક્કી કરવામાં આવ્યો છે.
ડીજીસીએ દ્વારા રચાયેલી ચાર સભ્યોની સમિતિએ ઈન્ડિગોના નેટવર્ક પ્લાનિંગ, સ્ટાફ ડ્યુટી મેનેજમેન્ટ અને સોફ્ટવેરની બારીકાઈથી તપાસ કરી હતી. સમિતિએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે એરલાઈને તેની કાર્યક્ષમતા કરતા વધુ કામ કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ.
રેગ્યુલેટરી તૈયારીઓમાં ઉણપ અને સિસ્ટમ સોફ્ટવેરમાં ખામીઓ જોવા મળી. મેનેજમેન્ટ સ્તરે ઓપરેશનલ કંટ્રોલનો અભાવ આ ગરબડનું મુખ્ય કારણ હતું. તપાસમાં જાણવા મળ્યું કે એરલાઇનની આંતરિક સિસ્ટમ આટલી મોટી કટોકટીનો સામનો કરવા માટે તૈયાર નહોતી, જેના કારણે આટલી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થઈ હતી.
૨૨.૨ કરોડ રૂપિયાના આ કુલ દંડમાં વિવિધ પ્રકારની પેનલ્ટીનો સમાવેશ થાય છે. નિયમોનું પાલન ન કરવા બદલ ૬૮ દિવસ માટે દરરોજ ૩૦ લાખ રૂપિયા લેખે દંડ. સિસ્ટમની ગરબડ માટે ૧.૮ કરોડ રૂપિયાનો અલગથી દંડ. આ ઉપરાંત, ડીજીસીએએ એરલાઇનને ૫૦ કરોડ રૂપિયાની બેંક ગેરંટી જમા કરાવવાનો પણ આદેશ આપ્યો છે.
તાજેતરના સમયમાં કોઈપણ ભારતીય એરલાઇન પર લાદવામાં આવેલો આ સૌથી મોટો દંડ માનવામાં આવે છે. આ કડક કાર્યવાહી બાદ, ઇન્ડિગોએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે તે ડ્ઢય્ઝ્રછ ના આદેશને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને જરૂરી પગલાં લેશે. કંપનીએ જણાવ્યું હતું કે આઉટેજ પછી, તે આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે તેની આંતરિક સિસ્ટમોની મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતાની સમીક્ષા કરી રહી છે.
મેનેજમેન્ટે ખાતરી આપી હતી કે તે તેની ૧૯ વર્ષની પ્રતિષ્ઠા જાળવી રાખવા અને તેના મુસાફરોની સેવા કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ઇન્ડિગોએ એમ પણ જણાવ્યું હતું કે તેનું લક્ષ્ય ૨૦૩૦ સુધીમાં ભારતને વૈશ્વિક ઉડ્ડયનમાં એક મુખ્ય શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરવાનું છે.
