Western Times News

Gujarati News

CRPFની સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ CRPFની પુરુષોની કન્ટીજન્ટનું નેતૃત્વ કરી ગુજરાતને ગૌરવ અપાવ્યું

સ્વતંત્રતા કા મંત્ર: વંદે માતરમ ના વિષયને અનુલક્ષીને ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ સાથેના ગુજરાતના ટેબ્લોએ ૭૭મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર આકર્ષણ જમાવ્યું

77-મા પ્રજાસત્તાક પર્વમાં વર્ષે પ્રથમ વખત સાયલન્ટ વોરિયર્સતરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો

નવી દિલ્હી : તા. 26 જાન્યુઆરી, 2026:  પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ શરુ થયેલી ભારતીય રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખની રોચક પ્રસ્તુતિ ૭૭-મા પ્રજાસત્તાક પર્વમાં ગુજરાતના ટેબ્લોનું મુખ્ય આકર્ષણ બન્યો.

આ સાથે ગુજરાતના નવસારીમાં જન્મેલા તથા ગુર્જરભૂમિના તેમના નામાંકિત ક્રાંતિવીર સાથીઓ : શ્યામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણાની સાથે વિદેશની ભૂમિ પરથી ક્રાંતિજ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ  તૈયાર કરેલા ‘વંદે માતરમ’ લિખિત ધ્વજની યશોગાથાનું વર્ણન, ‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીનો મંત્ર આપનારા મહાત્મા ગાંધીની સ્મૃતિ સાથે પ્રવર્તમાન ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનના સુભગ સમન્વય આ ટેબ્લોની અનોખી ભાત ઉભી કરી હતી.

આ ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાને સ્વરચિત ‘વંદે માતરમ’ લિખિત ધ્વજ સાથે દર્શાવવામાં આવ્યા હતા. જે તેમણે સૌ પ્રથમ વખત વિદેશીભૂમિ પર વર્ષ ૧૯૦૭માં પેરિસમાં લહેરાવ્યો હતો. આ ધ્વજ જર્મનીના બર્લિનના સ્ટુટગાર્ટની ‘ઇન્ડિયન સોશિયાલિસ્ટ કોન્ફરન્સ’માં પણ રજુ કરવામાં આવ્યો હતો. મેડમ કામાની આ ધ્વજ લહેરાવતી અર્ધ-પ્રતિમાની નીચે દેશના બંધારણમાં સ્વીકૃત વિવિધ ભારતીય ભાષામાં ‘વંદે માતરમ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ટેબ્લોના હૃદયસમા પૃષ્ઠભાગમાં રાષ્ટ્રધ્વજની નિર્માણયાત્રા, તેની બદલાતી તાસીર અને તવારિખને વર્ણવવામાં આવી હતી : જેનો પ્રારંભ વર્ષ 1906થી થાય છે. કોલકાતાના પારસી બાગાનમાં વિદેશી ચીજવસ્તુઓની હોળી અને સ્વદેશીનો સ્વીકાર કરતી વખતે ક્રાંતિકારીઓએ  ‘વંદે માતરમ’ લખેલો ધ્વજ સૌ પ્રથમ વખત ફરકાવ્યો હતો. ત્યારબાદના ક્રમે, ૧૯૦૭મા વિદેશીભૂમિ પરથી ભારતીય ક્રાંતિની જ્યોત જગાવનારા મેડમ ભિખાઈજી કામાએ તેમણે તૈયાર કરેલો ધ્વજ પેરિસમાં લહેરાવ્યો હતો. વર્ષ ૧૯૧૭મા હોમરુલ ચળવળના ભાગરૂપે એની બેસન્ટ અને

બાળગંગાધર તિલક દ્વારા એક નવતર ધ્વજ ફરકાવવામાં આવ્યો, જયારે વર્ષ ૧૯૨૧મા વિજયવાડામાં યુવા ક્રાંતિવીર પીંગળી વેંકૈયાએ એક નવી ડિઝાઈનનો ધ્વજ બનાવ્યો અને ગાંધીજી સમક્ષ રજુ કર્યો. ૧૯૩૧માં પીંગળીએ તૈયાર કરેલા ચરખા અને ત્રણ રંગો સાથે કેટલાક સુધારા સાથેનો ધ્વજ લગભગ સ્વીકૃતિ પામ્યો. જો કે આખરે ૨૨ જુલાઈ, ૧૯૪૭ના રોજ મધ્યમાં ધર્મચક્ર સાથેના ત્રિરંગાને ભારતીય બંધારણ સભાએ સ્વીકૃતિ આપી. પ્રવર્તમાન રાષ્ટ્રધ્વજની આ નિર્માણયાત્રા સાથે ભારતીય સ્વતંત્રતાની મહત્વની ચળવળોનું પણ આ ટેબ્લોમાં નિદર્શન કરવામાં આવ્યું.

‘ચરખા’ના માધ્યમથી સ્વદેશીના પ્રયોગ મારફતે સ્વતંત્રતાની હાકલ કરનારા મહાત્મા ગાંધીના શિલ્પને ટેબ્લોના અંતિમ ચરણમાં વિશાળ ધર્મચક્ર સાથે દર્શાવવામાં આવ્યું છે. સ્વદેશી-આત્મનિર્ભરતા અને સ્વતંત્રતાના આ સશક્ત મૂલ્યોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હાલ સતત સંવર્ધિત કરવાનું સ્તુત્ય કાર્ય કરી રહ્યા છે. સ્વાધીનતાની લડાઈ માટે ખપી જનારા વીર સપૂતોને યાદ કરીને રાષ્ટ્રીય ચેતના જગાવતા ‘રાષ્ટ્રીય શાયર’નું બિરુદ પામેલા ગુજરાતી રચનાકાર ઝવેરચંદ મેઘાણી રચિત ‘કસુંબીનો રંગ’ના તાલે જુસ્સો વધારતા કલાકારો ટેબ્લોને જોમવંતો બનાવી રહ્યા હતા.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ ડૉ.વિક્રાંત પાંડે, માહિતી કમિશ્નરશ્રી કિશોર બચાણી, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં સંયુક્ત માહિતી નિયામક ડૉ.સંજય કચોટ અને નાયબ માહિતી નિયામક સુશ્રી ભાવના વસાવાએ યોગદાન આપ્યું હતું.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૭ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૧૩ ઝાંખીઓ મળીને કુલ ૩૦ ટેબ્લોનું પ્રદર્શન થયું હતું. કર્તવ્ય પથ  પર સાંસ્કૃતિક પ્રસ્તુતિમાં લગભગ 2,500 કલાકારોએ ભાગ લીધો હતો. દેશભરમાંથી લગભગ 10,000 ખાસ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ પરેડનો પ્રારંભ ‘રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક’ ખાતે એક ગૌરવપૂર્ણ શ્રદ્ધાંજલિ સાથે થયો હતો, જ્યાં વડાપ્રધાનશ્રીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ, આ સમારોહની ઔપચારિક શરૂઆત રાષ્ટ્રપતિના સલામી મંચ પર આગમન, રાષ્ટ્રગીતનું ગાન અને  21 તોપોની સલામી સાથે થયો હતો. ૭૭-મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં યુરોપિયન યુનિયનના બે વરિષ્ઠ નેતા : યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લિયેન તથા યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતા.

77-મા પ્રજાસત્તાક પર્વમાં આ વર્ષે પ્રથમ વખત ‘સાયલન્ટ વોરિયર્સ’ તરીકે જાણીતા પ્રાણીઓએ પણ પરેડમાં ભાગ લીધો હતો. જેમાં મોંગોલિયન પ્રજાતિના બેક્ટ્રિયન ઊંટ, સિયાચીન ગ્લેશિયરમાં કામ કરતા ખચ્ચર, શિકારી પક્ષીઓ, સૈન્ય શ્વાન ટુકડીઓ સલામી મંચ પાસેથી પસાર થઇ હતી.

સેનાની વિવિધ પાંખોના કરતબો સાથે આ વર્ષે પહેલી વખત સીઆરપીએફની પુરુષ ટીમનું નેતૃત્વ 26 વર્ષીય સહાયક કમાન્ડન્ટ સિમરન બાલાએ કર્યું હતું. ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ કરનારી સિમરને ગાંધીનગરની સરકારી મહિલા કોલેજમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી સીઆરપીએફની સહાયક કમાન્ડન્ટની પરીક્ષા પાસ કરી હતી. આ સાથે યુરોપિયન યુનિયનની કન્ટીજન્ટ પણ આ પરેડમાં સામેલ થઇ હતી. આ વર્ષની પરેડમાં પ્રથમ વખત ભારતીય સેના દ્વારા બેટલ અરે ફોર્મેટ દર્શાવવામાં આવ્યું હતું જેમાં પરંપરાગત માર્ચિંગ ટુકડીઓ અને સેવા પ્રસ્તુતિઓનો સમાવેશ થતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.