ભારતીય રેલની પ્રથમ LNG ટ્રેનનું સફળ સંચાલન: 2000 કિમી.થી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ
અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે તારીખ 30.01.2026ના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ સ્થિત ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD), સાબરમતી ખાતે ભારતીય રેલવેની પ્રથમ લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)–ડીઝલ આધારિત ડ્યુઅલ ફ્યુઅલ DEMU ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
આ અવસરે તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં આ નવીન પહેલ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ભારતીય રેલવેએ સ્વચ્છ, પર્યાવરણ–અનુકૂળ તથા કિફાયતી રેલ સંચાલનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ભારતીય રેલવેમાં પ્રથમ વખત પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ (DEMU)ની ડ્રાઇવિંગ પાવર કાર (DPC)માં લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) આધારિત ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી સફળતાપૂર્વક અપનાવવામાં આવી છે.
આ યોજનાના અંતર્ગત 1400 એચપીની બે DEMU DPCને ડીઝલ+એલએનજી ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં પરિવર્તિત કરવામાં આવી છે, જેમાં લગભગ 40 ટકા સુધી ડીઝલના સ્થાને એલએનજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બંને પરિવર્તિત DPC પર 2000 કિલોમીટરથી વધુનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું છે અને હાલમાં કોઈપણ સમસ્યા વિના નિયમિત યાત્રી સેવામાં સંચાલિત થઈ રહી છે.

LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીના મુખ્ય લાભો
1. પર્યાવરણીય લાભ
એન્જિનમાંથી નીકળતા પ્રદૂષકોમાં નોંધપાત્ર ઘટાડો, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ (CO₂), નાઇટ્રોજન ઑક્સાઇડ (NOx) તથા પાર્ટિક્યુલેટ મેટર (PM)માં ઘટાડો.
રેલવે માર્ગોની આસપાસ હવાની ગુણવત્તામાં સુધારો તેમજ રાષ્ટ્રીય પર્યાવરણીય લક્ષ્યોની પૂર્તિમાં સહાયતા.
ઈંધણ ખર્ચમાં ઘટાડો
એલએનજી, ડીઝલની તુલનામાં સસ્તું છે. ડીઝલના સ્થાને આંશિક રીતે એલએનજી ના ઉપયોગથી પરિચલાન ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે.
પરીક્ષણ આંકડાઓના આધારે એક DPCમાંથી લગભગ ₹11.9 લાખ પ્રતિ વર્ષ બચત તથા અને એક 8-કોચ DEMU રેક (2 DPC)માંથી લગભગ ₹23.9 લાખ પ્રતિ વર્ષ બચત શક્ય છે.
2. પરિચલાન માં ફ્લેક્સિબીલિટી
ડ્યુઅલ ફ્યુઅલ એન્જિન ઈંધણની ઉપલબ્ધતા મુજબ ડીઝલ અને એલએનજી વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકે છે, જેના કારણે સેવામાં કોઈપણ પ્રકારનો વિક્ષેપ થતો નથી.
3. કાર્યક્ષમતામાં કોઈ ઘટાડો નથી
ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલી આ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એન્જિનની શક્તિ અને વિશ્વસનીયતા પરંપરાગત ડીઝલ એન્જિનના સમાન રહે, જેના કારણે ઉત્તમ કાર્યક્ષમતાની સાથે ઇંધણ બચત અને પ્રદૂષણમાં ઘટાડો સુનિશ્ચિત થાય છે.
સ્વીકૃત ડિઝાઇન અનુસાર DPCમાં અંદાજે 2200 લીટર ક્ષમતા (લગભગ 950–1000 કિલોગ્રામ ઉપયોગી એલએનજી) ધરાવતી એલએનજી ટેંક સ્થાપિત કરવામાં આવી છે. એક વખત સંપૂર્ણ ભરાવાથી 222 કિલોમીટરના દૈનિક સંચાલન માટે પર્યાપ્ત એલએનજી ઉપલબ્ધ થાય છે, જેના કારણે વારંવાર ઈંધણ ભરવાની જરૂરિયાત ઓછી રહે છે.
આરડીએસઓ દ્વારા ઉત્સર્જન પરીક્ષણો અને અંતિમ સ્વીકૃતિઓ પછી આ ટેક્નોલોજીને વધુ વિસ્તાર આપવામાં આવશે. આગામી તબક્કામાં વધુ 8 DEMU DPCને ડ્યુઅલ ફ્યુઅલ પ્રણાલીમાં પરિવર્તિત કરવાની યોજના છે, જેના કારણે ભારતીય રેલવેની સ્વચ્છ ઊર્જા, ઓછા કાર્બન ઉત્સર્જન અને કિફાયતી સંચાલન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનશે.
