તંગદિલી વચ્ચે ઇરાન US સાથે પરમાણુ વાટાઘાટો શરૂ કરશે
ટ્રમ્પની ધમકીની અસરઃ આ અઠવાડિયે ચર્ચા શરૂ થશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈસ્લામિક શાસન સામે લશ્કરી હુમલો કરવાની પોતાની ધમકીઓ સતત વધારી હતી
તહેરાન,ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશકિયને અમેરિકા સાથે પરમાણુ સંવાદ ફરી શરૂ કરવાનો આદેશ આપ્યો છે, એક સૂત્રને ટાંકીને ઈરાનની રાજ્ય-સંલગ્ન ફાર્સ ન્યૂઝ એજન્સીએ સોમવારે તેવો અહેવાલ આપ્યો હતો.આ ઘટનાક્રમ ઇરાન અને અમેરિકા વચ્ચે ઈરાન નજીક યુએસ નેવીના લશ્કરી જમાવડાને કારણે વધી રહેલા તણાવની વચ્ચે આવ્યો છે.
ગયા મહિને ઈરાનમાં થયેલા વ્યાપક સરકાર વિરોધી પ્રદર્શનો પર કરવામાં આવેલી હિંસક કાર્યવાહી બાદ, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના ઈસ્લામિક શાસન સામે લશ્કરી હુમલો કરવાની પોતાની ધમકીઓ સતત વધારી હતી, જેના પગલે આ નૌકા કાફલો આ ક્ષેત્રમાં તૈનાત કરવામાં આવ્યો હતો. ઈરાનમાં ૧૯૭૯ની ઈસ્લામિક ક્રાંતિ પછી આ પ્રદર્શનો અને સરકારનો તેવો પ્રતિસાદ સૌથી ઘાતક આંતરિક અશાંતિ તરીકે નોંધાયા છે.
હિંસક કાર્યવાહી દરમિયાન હસ્તક્ષેપ કરવાની ધમકીઓ આપ્યા પછી ટ્રમ્પે લશ્કરી પગલું ભર્યું નહોતું, તેમણે ત્યારથી ઇરાન પાસે પરમાણુ ક્ષેત્રે બાંધછોડ કરવાની માંગ કરી છે. વધતા તણાવ દરમિયાન, અમેરિકી પ્રમુખ સહિત બંને પક્ષોના અધિકારીઓ અને મહાનુભાવોએ વારંવાર વાટાઘાટો ફરી શરૂ થવાના સંકેતો આપ્યા છે. ઈરાની સૂત્રોએ પુષ્ટિ આપી છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંત્રણા શરૂ કરવા માટે ત્રણ મુખ્ય પૂર્વશરતો રાખી છે. અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી વચ્ચે આ જ શુક્રવારે ઈસ્તંબુલ, તુર્કીમાં નિર્ણાયક બેઠક યોજાઈ શકે છે.ss1
