Western Times News

Gujarati News

અંબાજી મંદિર ડીજીટલ બન્યુઃ પ્રસાદ બુકિંગ-ડોનેશન તમામ સુવિધા મોબાઈલ એપ પર ઉપલબ્ધ કરાશે

અંબાજી મંદિર હવે માઈ ભક્તો માટે ડિજિટલ બન્યું -કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ-દર વર્ષે અંદાજે ૧ કરોડ ર૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે

પાલનપુર, વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે. આ મોબાઈલ એપ્લિકેશન માઈભક્ત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે.

જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઈન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે ૧ કરોડ ર૦ લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.