ચાર્જશીટની કોપી ન મળી હોવાના આધારે ડીફોલ્ટ જામીન ના મળી શકેઃ સર્વાેચ્ચ અદાલત
સાયબર ફ્રોડના આરોપીના કેસમાં સુપ્રીમનો નિર્ણય
આરોપીને એડિશનલ કોપી તથા અન્ય સંબંદિત દસ્તાવેજો ન મળ્યા હોવાથી તેને કાનૂની રીતે જામીન મેળવવાનો હક છે
નવી દિલ્હી,તપાસ એજન્સીએ ચાર્જશીટની એડિશલ કોપી ફાઈનલ ન કરી હોવાના એક માત્ર કારણસર આરોપીને ડીફોલ્ટ જામીનનો હક મળી જતો નથી. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની જોગવાઈ અંગે સ્પષ્ટતા કરતા સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, ચાર્જશીટને નિયત સમયમર્યાદામાં ફાઈલ કરી દેવાઈ હોય તો આરોપીને ડીફોલ્ટ જામીન આપવા જોઈએ નહીં.
જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન કે સિંઘની બેન્ચે BNSSની કલમ ૧૮૭ (૩) હેઠળ જામીનના અધિકાર અંગે જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા ૬૦ અથવા ૯૦ દિવસની નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઈલ ન થઈ શકી હોય તો આરોપીને ડીફોલ્ટ જામીનનો મુદ્દો ઉપસ્થિત થઈ શકે છે, પરંતુ ચાર્જશીટની નકલ અથવા સંબંદિત દસ્તાવેજ બાદમાં અપાયા હોવાની દલીલના આધારે ડીફોલ્ટ જામીન મળી શકે નહીં.
પ્રસ્તુત કેસની વિગતો મુજબ, સીબીઆઈ દ્વારા સાયબર ળોડ અને મ્યુલ એકાઉન્ટ કૌભાંડ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરી હતી. આરોપીએ બોમ્બે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં દલીલ થઈ હતી કે, સીબીઆઈ દ્વારા BNSSની કલમ ૧૯૩ (૮)ની જોગવાઈનું પાલન થયું નથી.આ કલમ અન્વયે તપાસનીશ અધિકારીઓએ પોલીસ રિપોર્ટની એડિશનલ કોપી આરોપીને આપવી જરૂરી છે. આરોપીને એડિશનલ કોપી તથા અન્ય સંબંદિત દસ્તાવેજો ન મળ્યા હોવાથી તેને કાનૂની રીતે જામીન મેળવવાનો હક છે.
બોમ્બે હાઈકોર્ટે ડીફોલ્ટ જામીનની અરજી ફગાવી દેતાં આરોપી દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખવાની સાથે સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, BNSSની કલમ ૧૯૩ (૩)ની જરૂરિયાત મુજબ નિયત સમયમર્યાદામાં ચાર્જશીટ ફાઈલ કરી દેવાઈ હોય તો પછી ડીફોલ્ટ જામીનનો અધિકાર રહેતો નથી. કલમ ૧૯૩ (૮) અન્વયે આરોપીને પોલીસ રિપોર્ટની નકલ આપવી જોઈએ, પરંતુ આ પ્રક્રિયા ન થઈ હોવાથી ચાર્જશીટ અમાન્ય બની જતી નથી અને આરોપીને જામીનનો હક મળી જતો નથી. SS1
