Western Times News

Gujarati News

બહેરામપુરામાં વક પર ધારદાર હથિયાર વડે હુમલોઃ મોડી રાત્રે હિંસક અથડામણ

AI Image

બહેરામપુરાના ચારમાળીયા વિસ્તારમાં ગેંગવોર જેવી સ્થિતિ-ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બહેરામપુરાના ચારમાળિયા ખાતે મોડી રાત્રે હત્યાની એક ગંભીર ઘટના સામે આવી છે. સંતોષનગર નજીક આવેલી ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં ૨૨ વર્ષના એક યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઈજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર, આ હત્યા એનડીપીએસ (નાર્કોટિક્સ) સંબંધી ગેરકાયદેસર ધંધાની અદાવતને લઈને થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્દે બે જૂથો વચ્ચે સતત તણાવ અને ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ અગાઉ પણ એક વખત જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો, જે સંદર્ભે પોલીસે આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી પણ કરી હતી.

છતાં મોડી રાત્રે ફરી હિંસક અથડામણ સર્જાતાં આ હત્યાની ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ ચાલુ છે.

હત્યા પાછળનું ચોક્કસ કારણ, ઘટનામાં કેટલા લોકો સામેલ હતા અને એનડીપીએસ સંબંધી અદાવતનો કેટલો સંબંધ છે તે અંગે પોલીસ તમામ પાસાઓથી તપાસ ચલાવી રહી છે. હાલ ઘટનાસ્થળ અને સમગ્ર વિસ્તારમાં શાંતિ જાળવવા પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.મૃતકના ભાઈ અફઝલ યાસીન સૈયદે જણાવ્યું કે, હું બહેરામપુરા સંતોષ નગર ચાર માળિયામાં રહું છું.

આજે એક નંબર ગેટ પાસે રહેતા હુસૈન અને અન્ય ચાર-પાંચ જણાએ ભેગા મળીને મારા ભાઈના ગળે છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાખી છે. એમડી ડ્રગ્સના ધંધાને લઈને છેલ્લા ૧૫ દિવસથી બે જૂથો વચ્ચે દુશ્મનાવટ ચાલી રહી હતી. આ બાબતે પોલીસને બધી જ ખબર હોવા છતાં તેઓ કોઈ જ ધ્યાન આપતા નથી.

આ જ લોકોએ બે દિવસ પહેલાં એક બીજા નિર્દોષ છોકરાને પણ છરી મારી હતી, જેણે મર્ડર કરાવ્યું તે લોકો અંદર જ હતા પરંતુ પોલીસે આજે તેમને છોડી દીધા, અને આજે તેમણે મારા ભાઈને મારી નાખ્યો છે.અન્ય એક મહિલાએ જણાવ્યું કે, જે છોકરાની હત્યા થઈ તેને આ ઝઘડા સાથે કોઈ લેવાદેવા નહોતી, તે બિચારો સીધોસાદો રિક્ષાચાલક હતો અને અમારી પાસે ઊભો હતો, ત્યારે જ પાંચ-છ લોકો પાછળથી આવ્યા અને તેને દોડાવીને ત્યાં જ મારી નાખ્યો.

અમે પોલીસ અને ૧૦૮ ને જાણ કરી પરંતુ તેઓ ખૂબ મોડા આવ્યા; દાણીલીમડા પોલીસ અમારી કોઈ વાત સાંભળતી જ નથી અને અમે ૧૦-૧૫ જેટલી ફરિયાદો કરી હોવા છતાં તેઓ ગુનેગારોને પકડવાના બદલે માત્ર દેખાડો કરે છે. આનું કારણ એ છે કે પોલીસ બહેરામપુરાના એમડી ડ્રગ્સ માફિયા હુસૈન પાસેથી પૈસા ખાય છે, જેના ઘરની સ્ત્રીઓ પણ ડ્રગ્સ છુપાવવા અને સપ્લાય કરવામાં તેને પૂરો સાથ આપે છે.

શાહરૂખની પત્નીએ અમારા પર હુમલો થયાનો જે વિડિયો મૂક્યો હતો તે બિલકુલ ખોટો હતો, હકીકતમાં તેઓએ બ્લોક નંબર ૧ માંથી અમારા બ્લોક નંબર ૨૮ માં આવીને અમારા પર હુમલો કર્યો હતો જ્યારે અમારી સાથે નાના બાળકો હતા. પોલીસના પીઆઈ અને દાણીલીમડા ડિવિઝનને આ મોટા ડ્રગ્સ માફિયા વિશે બધી જ જાણ હોવા છતાં પૈસાના જોરે કોઈ કાર્યવાહી થતી નથી, અને મને હજુ પણ આશંકા છે કે ત્યાં તેમના માણસો દ્વારા ભવિષ્યમાં પણ આવી કોઈ મોટી ઘટના બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.