અતિભારે વરસાદ અનુસંધાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે વરસાદની સ્થિતિની સમીક્ષા કરાઈ
નાગરિકોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા, રાજ્યમાં પોલીસ અને વહીવટી તંત્ર એક ટીમ બનીને રાહત-બચાવ માટે શ્રેષ્ઠ કાર્ય કરી થઈ છે: રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિક
*સવારે ૯ કલાકે પણ રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈ.જી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરાઈ હતી*
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર –SEOC ગાંધીનગર ખાતે રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના અસરગ્રસ્ત જિલ્લાઓ ઉપરાંત અમદાવાદ સહિતના જિલ્લામાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી.
રાજ્યમાં પૂર અને વરસાદી માહોલ વચ્ચે પોલીસ વિભાગની કામગીરી અંગે માહિતી આપતા રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ અને વહીવટીતંત્ર એક ટીમ બનીને કામ કરી રહ્યા છે તથા નાગરિકોની સુરક્ષા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
તેમણે ઉમેર્યું હતું કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત અને નવસારી સહિતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ બાદ હવે સ્થિતિમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. આમ છતાં, પોલીસ અને વહીવટીતંત્ર સતત ‘એલર્ટ મોડ‘ પર રહીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
ગુજરાત પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ગ્રાઉન્ડ લેવલ પર સંકલન સાથે કાર્ય કરી રહી છે. આ કામગીરીમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે ખસેડવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા નાગરિકો સુધી ફૂડ પેકેટ્સ અને અન્ય જરૂરી સામગ્રી પહોંચાડવાની કામગીરી પણ પોલીસ ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક કરવામાં આવી રહી છે.
રાજ્યભરમાં આપત્તિ વ્યવસ્થાપનને વધુ સુદ્રઢ બનાવવા NDRF અને SDRFની મળીને ૪૯ ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત, વરસાદના કારણે ધરાશાયી થયેલાં વૃક્ષો અને ડાળીઓ હટાવવા તેમજ રસ્તા પર બંધ પડેલા અને ફસાયેલા વાહનોને ક્રેનની મદદથી સલામત રીતે બહાર કાઢવા માટે પોલીસ કર્મચારીઓ પોતે ગ્રાઉન્ડ પર ઉતરીને ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરી રહ્યા છે.
રાજ્ય પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, અતિશય જરૂરી કામ વગર ઘરની બહાર નીકળવાનું નાગરિકોએ ટાળવું જોઈએ. હવામાન વિભાગની આગાહી અને પરિસ્થિતિની ચકાસણી કર્યા બાદ જ મુસાફરી યોજવી. તેમણે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને બિનજરૂરી બહાર ન જવાની વિનંતી કરી હતી. આ ઉપરાંત, સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા જારી કરવામાં આવતી સુરક્ષા માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા નાગરિકોને વિનંતી કરી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની આ બેઠકમાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, લૉ એન્ડ ઓર્ડર ડીજીપી શ્રી રાજકુમાર પાંડિયન, આઇજીપી શ્રી મકરંદ ચૌહાણ, રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મલિકે વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે ૯:૦૦ કલાકે રાજ્યના તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈ.જી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વરસાદી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ તમામ અધિકારીઓને ગ્રાઉન્ડ લેવલ પર જઈને સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
