રાજકારણ બહુ જ ભ્રષ્ટ થઇ ગયું છે હવે ચૂંટણી નહીં લડું : સિદ્ધારમૈયા
સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી
ચૂંટણી લડવા માટે પણ રૂપિયા આપવા પડે છે એટલે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા રાજકારણ છોડી રહ્યા છે
બેંગલુરુ,કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ રાજકારણમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરી છે. રવિવારે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે આજે રાજકારણ પુરી રીતે ભ્રષ્ટ થઇ ચુક્યું છે.તેમણે કહ્યું હતું કે ચૂંટણી લડવા માટે પણ રૂપિયા આપવા પડે છે એટલે તેઓ રાજકારણ છોડી રહ્યા છે. જોકે તેમણે ઉમરનું બહાનું પણ આગળ ધર્યું હતું. તાજેતરમાં જ કર્ણાટકના મુખ્યમંત્રીની ખુરસી છોડનારા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે રાજકારણ ભ્રષ્ટ થઇ ચુક્યું છે, તેથી મે વર્ષ ૨૦૨૮ની વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. જોકે હું રાજકારણમાં સક્રિય રહીશ અને જનતાના સુખ દુઃખનો અવાજ બનીને કામ કરતો રહીશ.
સિદ્ધારમૈયાએ વધુમાં કહ્યું હતું કે મને ચૂંટણી લડવા માટે કેટલાક લોકો આગ્રહ કરી રહ્યા છે પરંતુ હું તેમને જણાવવા માગું છું કે હું હવે ચૂંટણી લડવા જ નથી માગતો.પહેલા જ્યારે હું ચૂંટણી લડતો ત્યારે જનતા જ અમારા માટે ધન એકઠુ કરતી અને જીત અપાવતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે મારી ઉંમર ૭૯ વર્ષ થઇ ગઇ છે અમારી સરકારનો કાર્યકાળ હજુ દોઢ વર્ષ બાકી છે જે પૂર્ણ થતા મારી ઉંમર ૮૧ કે ૮૨ વર્ષ થઇ જશે. હવે મારુ સ્વાસ્થ્ય પહેલા જેવું નથી રહ્યું. પહેલા જેવી ઉર્જા સાથે કામ કરવું શક્ય નથી રહ્યું. સિદ્ધારમૈયા અત્યાર સુધી મુખ્યમંત્રીની ખુરસી છોડવા માટે તૈયાર નહોતા જોકે કોંગ્રેસ હાઇકમાન્ડના કહેવાથી તેમણે ડી. કે. શિવકુમારને આ સ્થાન આપવું પડયું અને હવે ઉંમરનું કારણ આપીને તેઓએ રાજકારણ છોડવાની જાહેરાત કરી છે.SS1
