Western Times News

Gujarati News

નીરવ મોદીને પરત ના સોંપાવાના કારણે ભારત યુકેથી નિરાશ થયું હતું

પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલનું મોટું નિવેદન

નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના લગભગ અંદાજે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ના ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે

નવી દિલ્હી, ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીને બ્રિટનથી ભારત પરત લાવવાની પ્રક્રિયામાં થઈ રહેલા સતત વિલંબને કારણે ભારત અને યુકે વચ્ચેના રાજદ્વારી સંબંધો પર ભારે અસર પડી છે. યુકેના પૂર્વ ગૃહમંત્રી પ્રીતિ પટેલે એક વિસ્ફોટક નિવેદનમાં દાવો કર્યાે છે કે બ્રિટન દ્વારા નીરવ મોદીનું પ્રત્યાર્પણ ન કરાતા ભારત સરકાર ભારે આક્રોશમાં હતી અને બ્રિટન સાથે કામ કરવા મુદ્દે અત્યંત નિરાશા અનુભવી રહી હતી. એટલું જ નહીં, આ પ્રકરણના કારણે લંડનમાં ગેરકાયદેસર રીતે રહેતા અને આશ્રય અરજીઓ ફગાવી દેવાઈ હોય તેવા ભારતીયોને પરત સ્વીકારવાની વાટાઘાટોમાં પણ ભારતે સખત વલણ અપનાવ્યું હતું.

પ્રીતિ પટેલ, જેમણે એપ્રિલ ૨૦૨૧માં બાદ નીરવ મોદીના પ્રત્યાર્પણ ઓર્ડરને મંજૂરી આપી હતી, તેમણે સ્વીકાર્યું છે કે તમામ કાનૂની પડકારો પૂર્ણ થયા પછી પણ ૫૫ વર્ષીય નીરવ મોદી હજી પણ યુકેમાં જ છે તે જોઈને તેઓ ભારે આઘાત અને આશ્ચર્ય અનુભવે છે.ડેઇલી ટેલિગ્રાફના પોડકાસ્ટમાં વાત કરતા પ્રીતિ પટેલે યુકેની કાનૂની સિસ્ટમ પર સીધા પ્રહારો કર્યા હતા. હાલમાં કન્ઝર્વેટિવ પાર્ટીના શેડો ફોરેન સેક્રેટરી તરીકે સેવા આપી રહેલા પટેલે જણાવ્યું હતું કે, જો આપણી ન્યાય પ્રણાલી વાજબી હોત અને બહાના કે લાંબી પ્રક્રિયાઓમાં ઉલઝવાને બદલે યોગ્ય કામ કરતી હોત, તો નીરવ મોદી આજે આ દેશમાં ન હોત. મને એ વાતનો ભારે આઘાત છે કે તે હજી પણ અહીં છે. મને શંકા છે કે આ બાબત ભારત સરકારને આપણી સાથે કામ કરવા માટે ખૂબ જ નિરાશ કરે છે.

કાનૂની પ્રક્રિયામાંથી પસાર થયા પછી નીરવ મોદીએ ભારતમાં જઈને જેલની સજા ભોગવવી જોઈએ, કારણ કે યુકેના પ્રત્યાર્પણ કાયદા અને સંધિઓનો વાસ્તવિક હેતુ જ આ છે.પ્રીતિ પટેલે લંડનમાં નીરવ મોદીની લાંબી કાનૂની લડાઈને બ્રિટિશ ન્યાય પ્રણાલીનો ખુલ્લેઆમ અનાદર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ આપણી સિસ્ટમનો ખુલ્લેઆમ દુરુપયોગ છે અને તે બ્રિટિશ કરદાતાઓનું પણ અપમાન છે.નીરવ મોદીને ના સોંપ્યો તેથી ભારતે પ્રવાસીઓને પરત સ્વીકારવામાં આનાકાની કરીઃ પ્રીતિ પટેલ

તેમણે ૨૦૧૯ થી ૨૦૨૨ દરમિયાન પોતાના કાર્યકાળને યાદ કરતા કહ્યું કે, વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોય અને આશ્રય અરજીઓ રદ થઈ હોય તેવા ગેરકાયદે ભારતીય નાગરિકોને પરત મોકલવા માટે ભારતને મનાવવું એ એક અત્યંત કઠિન પડકાર હતો. તેમણે કહ્યું કે, નિષ્ફળ ગયેલા આશ્રય શોધકોને ( ભારતીય પ્રવાસીઓને ) પરત સ્વીકારવા માટે ભારતને મનાવવું મારા માટે એક ‘હેલ ઓફ અ ચેલેન્જ’ હતું. મને પૂરો વિશ્વાસ છે કે આ બધું નીરવ મોદીના હાઈ-પ્રોફાઈલ કેસના કારણે થઈ રહ્યું હતું. જ્યાં સુધી ભારતે આ કેસમાં નક્કર કાર્યવાહી ન જોઈ, ત્યાં સુધી તેમની પાસે આપણા પર દબાણ બનાવવાનું એક હથિયાર હતું.લંડનની પેન્ટનવિલ જેલમાં બંધ ૫૫ વર્ષીય નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના લગભગ અંદાજે ૧૬,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ના ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં મુખ્ય આરોપી છે. ભારત સરકાર ત્રણ અલગ-અલગ ગુનાહિત પ્રક્રિયાઓ હેઠળ તેનું પ્રત્યાર્પણ ઈચ્છી રહી છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.