અરવલ્લીમાં તરબૂચનું વાવેતર કરનાર ખેડૂતોને લાલ પાણીએ રોવાનો વારો આવ્યો

કોરોનાનું સંક્રમણ વધુ ન પ્રસરે તે માટે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. જેના પગલે લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થઈ રહ્યો છે. જેના કારણે તમામ વ્યાપાર ધંધા વાહનવ્યવહાર બંધ છે ત્યારે એની અસર ખેડૂતો પર પણ જોવા મળી છે. ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ તડબૂચ વાહન વ્યવહાર બંધ હોવાના કારણે ખેતરમાં જ પડી રહ્યા હોવાથી ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે.
હાલ કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશ લોકડાઉન છે. દેશના તમામ રાજ્યો સંપૂર્ણ પણે લોકડાઉન છે. તમામ વેપાર ઉદ્યોગ વાહનવ્યવહાર પણ સંપૂર્ણ પણે બંધ હાલતમાં છે. એક તરફ ખેડૂતે મહામહેનતે પકવેલ મોલ તૈયાર થવાની અણી પર હતું અને એકાએક લોકડાઉન થયું ત્યારે જે ફળની ઉપજ છે કે જેનું બહારના જિલ્લામાં અને રાજ્યમાં માર્કેટ છે. તેવા ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મેઘરજ તાલુકામાં મોટાભાગે ખેડૂતોએ ઉનાળુ ખેતીમાં તડબૂચનું વાવેતર કર્યું છે. લગભગ 500 વિઘાથી વધુ જમીનમાં તડબૂચનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. તડબૂચની ખેતી 70 દિવસની હોય છે. ખેડૂતો મોંઘા ભાવનું બિયારણ લાવી સારી માવજત કરીને ખૂબ સારા પ્રમાણમાં તડબૂચનો ઉતારો પણ આવ્યો છે. લગભગ 1 વીઘાએ 650 થી 700 મણ તડબૂચનો પાકનો ઉતારો આવ્યો છે.
ત્યારે સામાન્ય રીતે સીઝનમાં 350 થી 400 રૂપિયે મણ તડબૂચ વેચાય છે. દરરોજની જિલ્લા અને જિલ્લા બહાર અને અન્ય રાજ્યોમાં પણ મેઘરજના તડબૂચ વર્ષોથી વેચતા હતા. પરંતુ આ વર્ષે તડબૂચના પાકને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. હાલ તમામ ટ્રાન્સપોર્ટ બંધ છે જેના કારણે લાખો મણ તડબૂચનો પાક ખેતરમાં જ પડી રહ્યો છે. હાલની સ્થિતિમાં ખેડૂતો લોકલ ટ્રેક્ટરમાં ભરી ફક્ત 10 રૂપીયે કિલો એટલે કે 200 રૂપિયે મણ તડબૂચ વેચવા ખેડૂત મજબૂર બન્યા છે.
જેના કારણે હાલ ખેડૂતની હાલત કફોડી બની છે. હાલ તડબૂચની ખેતીમાં વીઘાએ 70 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ત્યારે લોકડાઉનને કારણે ખેડૂતે પોતે કરેલ ખર્ચ પણ નીકળતો નથી. તૈયાર થયેલ તડબૂચનો પાક ખેતરમાં જ પડ્યા પડ્યા ફાટી જવાની સ્થિતિ પેદા થઈ છે. આમ લોકડાઉનને કારણે તડબૂચનું બહાર વેચાણ અટકી જવાના કારણે ખેડૂતને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે. ત્યારે આવા ખેડૂતોને સરકારની સહાય મળે એવી ખેડૂતોની માંગ છે.