Western Times News

Gujarati News

મોદીએ ૨૭મીએ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી

નવી દિલ્હી, દેશમાં કોરોના વાયરસના કેસોમાં રોકેટ ગતિએ ઉછાળો નોંધાઈ રહ્યો છે. રોજે રોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવી રહ્યા છે. આ વચ્ચે દેશમાં શુક્રવારે પણ કોરોનાના નવા કેસોનો આંકડો ૫૦ હજારની નજીક રહ્યો હતો. જ્યારે ૭૫૭ લોકોના મોત થઈ ગયા. આ સાથે જ કુલ કેસોનો આંકડો ૧૩ લાખને પાર પહોંચી ગયો છે. દેશમાં કોરોના વાયરસના કેસનો આંકડો ધીમે ધીમે ભયાનક સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. જેમાં શુક્રવારે દેશમાં ૪૯,૦૦૦થી વધુ નવા કેસો સામે આવ્યા. આ સાથે જ ૭૫૭ લોકોના કોરોનાથી મોત થયા. છેલ્લા ત્રણ દિવસથી નવા કેસો અને મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થિતિને જોતા આગામી ૨૭ જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવી છે. આ ઉપરાંત દેશના નવ રાજ્યોમાં કોરોનાના કેસોએ સરકારની ચિંતા વધારી છે. એવામાં કેન્દ્ર સરકારે તેમને ટેસ્ટિંગમાં વધારો કરવા, કન્ટેનમેન્ટ ઝોનના પ્લાન્સનું પાલન કરવા અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો કરવાનું સૂચન આપ્યું છે.

આ નવ રાજ્યોમાં તેલંગાણા, આંધ્રા પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આસામ છે. જ્યારે મહારાષ્ટ્રમાં મૃતકોની સંખ્યાનો આંકડો ૧૨,૦૦૦ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ વિશ્વમાં કોરોના વાયરસની વાત કરીએ તો બ્રાઝિલમાં ૫૫,૮૯૧ નવા કેસ સામે આવ્યા. અહીં કુલ કેસનો આંકડો ૨૩ લાખને પાર પહોંચી ગયો છે. જ્યારે અમેરિકામાં સતત સોથા દિવસ ૧૦૦૦ દર્દીઓના મોત નોંધાયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.