અમદાવાદમાં માણેકચોકનું ખાણીપીણી બજાર બંધ કરાયું

Files Photo
અમદાવાદ: અમદાવાદમાં કોરના વાયરસનો કહેર પહેલાની સરખામણીમાં ઓછો થઇ રહ્યો છે. ત્યારે શહેરનાં પ્રખ્યાત માણેકચોક ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા ચાલુ કરવામાં આવી હતી જે પણ વિવાદને કારણે બંધ કરી દેવામાં આવી છે. એએમસીએ બુધવારે સાંજે માણેકચોક ખાણીપીણી બજાર બંધ કરાવી દીધું છે. આ સાથે ઇસ્કોન બ્રિજ પાસેનાં ખુલ્લા પ્લોટમાં ધમધમતુ ખાણીપીણી બજાર મોડી રાત સુધી ચાલતા વસ્ત્રાપુર પોલીસે દરોડા પાડીને ૮ લારી માલિકોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, કોરોના વાયરસનાં સંક્રમણ વધારે ન વકરે એટલે એએમસી દ્વારા અમદાવાદીઓને પુરેપૂરીછૂટ આપી નથી.
હોટલો અને ખાણીપીણીની લારીઓ રાતે ૧૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાય છે. ત્યારે ઈસ્કોન બ્રિજના છેડે આવેલા ગણેશ ચોક ખાતેના ખુલ્લા પ્લોટમાં ભરાતું ખાણીપીણી બજાર રાતે ૧૦.૩૦ વાગ્યે પણ ચાલુ જ હતું.
આ દરમિયાનમાં સેટેલાઈ પોલીસ પેટ્રોલિંગમાં નીકળ્યા ત્યારે ત્યાંનું બજાર ચાલું જ હતું. જે જોતા પોલીસે સ્થળ પરથી ૮ લારી સાથે તેના માલિકની ધરપકડ કરી હતી.
આ તમામ સામે સેટેલાઇટ પોલીસે જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો. આ પહેલા હેપ્પી સ્ટ્રીટ ખાણીપીણી બજર પણ રવિવારે બંધ કરાવવામાં આવ્યું હતું.
માણેકચોક ખાણીપીણી બજારમાં પણ કોરોનાને કારણે સાંજે ૮થી ૧૦ વાગ્યા દરમિયાન પાર્સલ સેવા શરૂ કરાઇ હતી. જેમા પણ વિવાદ સર્જાતા તેને બંધ કરવામાં આવ્યું છે. બુધવારે મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં સુરતમાં ૨૪૮, અમદાવાદમાં ૧૬૩, વડોદરામાં ૧૨૪, જામનગરમાં ૮૮, રાજકોટમાં ૯૯, અમરેલીમાં ૩૪, પંચમહાલમાં ૩૧, ભરૂચમાં ૨૯, ભાવનગરમાં ૨૭, કચ્છમાં ૨૪, બનાસકાંઠામાં ૨૩, ગાંધીનગરમાં ૪૩ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં ૫, સુરતમાં ૪, રાજકોટ ૨, વડોદરામાં ૨, દાહોદમાં ૧, ગીરસોમનાથમાં ૧ દર્દી મળીને કુલ ૧૭ દર્દીનાં મૃત્યુ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં ૨૯૪૭ દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જયારે ૭૧,૩૦૮ દર્દીઓ સાજા થયા છે.