રિયાના જામીન અરજી ઉપર આજે કોર્ટનો ચુકાદો આવશે

મુંબઈ, સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે ડ્રગ્સ લિંક બહાર આવ્યા બાદ નાર્કેટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ મામલે તપાસ શરૂ કરી હતી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ મંગળવારે ત્રણ દિવસની પૂછપરછ બાદ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી. જે બાદ તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાઈ હતી. ત્યારબાદ રિયાના વકીલે જામીન માટે અરજી કરી હતી. રિયા ચક્રવર્તીની જામીન અરજી પર મુંબઈની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. રિયાની જામીન અરજી પર સુનાવણી પૂરી થતા કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. રિયાની જામીન અરજી પર શુક્રવારે ચુકાદો સંભળાવવામાં આવશે. રિયા ઉપરાંત આ કેસના અન્ય આરોપીઓ અને કથિત ડ્રગ પેડલર્સ બાસિત પરિહાર અને ઝૈદ વિલાત્રાની જામીન અરજી પર પણ શુક્રવારે એટલે કે આવતીકાલે ચુકાદો સંભળાવવામાં આવશે.
![]() |
![]() |
ઉલ્લેખનીય છે કે, ૪ સપ્ટેમ્બરે શોવિક ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે રિયા ચક્રવર્તીની ૮ સપ્ટેમ્બરે સાંજે ધરપકડ કરાઈ હતી. જે બાદ મેજિસ્ટ્રેટ કોર્ટે રિયાની જામીન અરજી ફગાવી હતી અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી હતી. રિયાની ધરપકડ બાદ તેને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાઈ હતી અને કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે બાદ તેણે એનસીબીની કસ્ટડીમાં મંગળવારની રાત વિતાવી હતી અને બુધવારે સવારે ભાયખલા જેલમાં મોકલાઈ હતી.
રિયા ચક્રવર્તીએ પોતાની જામીન અરજીમાં ઉલ્લેખ કર્યો હતો, “નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સામાન્ય તથ્યોને તોડી-મરોડીને ખોટો વૃત્તાંત રજૂ કર્યો. જેમાં રિયા ડ્રગ્સ માટે રૂપિયા આપતી હતી તેવું દર્શાવ્યું છે. રિયા સુશાંત સિંહ રાજપૂત સાથેની રિલેશનશીપમાં હતી તે સિવાયના સમયગાળામાં તેણે ડ્રગ્સ રાખ્યા હોય કે ખરીદ્યા હોય તેવા કોઈ આરોપ નથી.” મીડિયા રિપોર્ટ મુજબ, રિયાએ જામીન અરજીમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે, પૂછપરછ દરમિયાન એનસીબીએ રિયા પાસે જબરદસ્તી કબૂલાત કરાવી હતી. એક્ટ્રેસે એવો પણ દાવો કર્યો છે કે તેણે કોઈ ગુનો નથી કર્યો. તેની સામે ખોટો કેસ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત ૧૪ જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરેથી મૃત હાલતમાં મળ્યો હતો.
સુશાંતના મોત બાદ તેના પિતાએ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો અને રૂપિયાની હેરફેરનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ઈડીને તપાસ દરમિયાન રિયાના ફોનમાંથી ડ્રગ્સ સંબંધિત ચેટ મળી આવી હતી. જે બાદ તેમણે સીબીઆઈ અને એનસીબીને જાણ કરી હતી. હાલ આ કેસની તપાસ દેશની ત્રણ એજન્સી સીબીઆઈ, ઈડી, અને એનસીબી કરે છે.SSS