પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનકઃ ચૂંટણી પંચ

નવી દિલ્હી, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ચૂંટણી પંચના અધિકારીઓ હાલમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. આજે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, ગૃહ સચિવ અને બીજા વિભાગોના અધિકારીઓ સાથે ચૂંટણી પંચે બેઠક યોજી હતી.જેમાં રાજ્યના પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.
ચૂંટણી પંચે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર અસંતોષ વ્યક્ત કર્યો છે. બેઠક બાદ ચૂંટણી કમિશનર સુનીલ અરોડાએ કહ્યુ હતુ કે, તમામ રાજકીય પક્ષોએ પણ રાજ્યમાં જે પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તેના પર ચિંતા વ્યક્ત કરી છે. રાજ્યમાં સાંપ્રદાયિક સદભાવ બગાડવામાં આવે તેવી પણ દહેશત છે. આમ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વિશેષ વ્યવસ્થા કરવી પડશે.
તેમણે કહ્યુ હતુ કે, જેના ભાગરુપે દરેક મતદાન કેન્દ્ર પર મતદારોની સંખ્યા 1500થી ઘટાડીને 1000 કરી દેવમાં આવી છે. જેનાથી રાજ્યમાં મતદાન કેન્દ્રોની સંખ્યા એક લાખથી વધી જશે. કોવિડના સંક્રમણને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
દરેક મતદાન કેન્દ્રો પર કેન્દ્રીય સુરક્ષા દળોના જવાનોને તૈનાત કરવામાં આવશે. દરમિયાન બેઠકમાં પણ રાજ્યના પોલીસ અધિકારીઓ ચૂંટણી પંચના અધિકારીઓએ સવાલો પૂછ્યા હતા અને તેના જવાબોથી ચૂંટણી પંચને સંતોષ થયો નહોતો.