નર્મદા જિલ્લા સેવાસદન ખાતે સમાન સિવિલ કોડ સમિતિના સભ્યોએ બેઠક યોજી

સમિતિએ રાજ્યમાં યુસીસી કાયદા અંગે નર્મદા જિલ્લાના વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના સૂચનો-મંતવ્યો મેળવ્યા
સમાન સિવિલ કોડ વિશે પ્રવર્તતી ગેરસમજ દુર કરી આદિવાસી સમાજને આ કાયદામાંથી સંપૂર્ણ મુક્ત રાખ્યો છે – સમિતિના સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફ
નાગરિકો યુસીસી કાયદા અંગે પોતાના મંતવ્યો (https://uccgujarat.in) પોર્ટલ પર તથા પત્ર મારફતે મુક્તમને જણાવી શકે છે – સમિતિના સભ્ય શ્રી દક્ષેશભાઈ ઠાકર
રાજપીપલા, શુક્રવાર :- સમાન સિવિલ કોડ સમિતિ(UCC)ના સભ્યો સર્વશ્રી દક્ષેશભાઈ ઠાકર અને સુશ્રી ગીતાબેન શ્રોફની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર, સામાજિક અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો,
વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, કોલેજના આચાર્યો, એવોર્ડ વિજેતાઓ, કાયદાના નિષ્ણાંતો, સામાજિક કાર્યકરો સાથે બેઠક દરમિયાન પરિચય કેળવી કાયદા અંગે બેઠક યોજી હતી. જેમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી આ UCC કાયદા અંગેના અભિપ્રાયો, મંતવ્યો અને સૂચનો રૂબરૂ મેળવ્યાં હતાં.
સમાન નાગરિક સંહિતા અંગે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરેલી સમિતિના સભ્ય સુશ્રી ગીતાબેન શ્રોફે સૌને બેઠકમાં આવકારી જણાવ્યું હતું કે, ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં નિવૃત્ત આઈ.એ.એસ શ્રી સી.એલ. મીના, વરિષ્ઠ એડવોકેટ શ્રી આર.સી. કોંડેકર અને પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ.દક્ષેશ ઠાકર સહિતના સભ્યોની નિયુક્તિ કરાઈ છે. સમિતિના સભ્યો રાજ્યના તમામ જિલ્લાઓમાં જઈને યુ.સી.સી. કાયદા અંગે પ્રબુદ્ધ નાગરિકોના અભિપ્રાયો મેળવી રહ્યા છે.
સુશ્રી ગીતાબેન શ્રોફે ઉપસ્થિત સૌને યુ.સી.સી. કાયદા વિશે વિગતવાર સમજણ આપી હતી. આ સમાન નાગરિક સંહિતા કોઈ જ્ઞાતિ, ધર્મ કે સમાજના ક્રિયાકાંડો–વિધિવિધાનમાં હસ્તક્ષેપ નથી કરતી અને તેવો આશય પણ નથી. આ કાયદા અંગે લોકોના અભિપ્રાય-સૂચનો મેળવવા ખૂબ અગત્યના છે. તેઓએ આ કાયદા અંગે પ્રવર્તતી કેટલીક અફવાઓ અંગે પણ સ્પષ્ટતા કરી હતી. અને પ્રબુદ્ધ નાગરિકોને પોતાના મંતવ્યો રજૂ કરવા જણાવ્યું હતુ.
આ તકે સમિતિના સભ્ય શ્રી અને પૂર્વ વાઈસ ચાન્સેલર ડૉ.દક્ષેશ ઠાકરે અત્રે નર્મદા જિલ્લામાંથી મળેલા મંતવ્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. યુસીસી અંગે નાગરિકોને તેમના અભિપ્રાયો પોર્ટલ પર મોકલવા પણ અનુરોધ કર્યો હતો. આ મહત્વપૂર્ણ વિષય પર અસરકર્તા વિવિધ પાસા-મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિએ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ, બિન-સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો,
ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો વગેરેને પણ ૧૫ એપ્રિલ-૨૦૨૫ સુધીમાં વેબપોર્ટલ (https://uccgujarat.in) કે સિવિલ કોડ સમિતિ, ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.-૧, વિભાગ-એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, ગુજરાત – ૩૮૨૦૧૦ ના સરનામે પોતાના મંતવ્યો, સૂચનો મોકલવા પણ અપીલ કરી હતી.
આ સમિતિ દ્વારા લગ્ન, છુટાછેડા, ભરણપોષણ અને લિવ-ઇન રીલેશનશિપ જેવા વિષયોનો સમાવેશ કરવા બાબતે તેમજ આ અંગે સૂચનો બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ પાસેથી મેળવ્યા હતા. આ બેઠકમાં ઉપસ્થિસ્ત અગ્રણી નાગરિકોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો-સૂચનો પણ રજૂ કર્યા હતા. અને લેખિતમાં પ્રશ્નાવલી રૂપે અને અલગથી પત્રમાં મોકલવા પણ જણાવ્યું હતું.
બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીએ યુસીસીના સભ્યશ્રીઓનું સ્વાગત કરી આવકાર્યા હતા. આ બેઠકમાં વિવિધ અગ્રણીઓ, સંતો, પ્રતિનિધિઓ, પોલીસ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.