Western Times News

Gujarati News

ત્રણ પેઢીએ એક જ સાથે રસીકરણ કરાવી વેક્સિન સલામત હોવાનો સંદેશો પાઠવ્યો

રાષ્ટ્રીય વેક્સિન દિવસ વિશેષ  -અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબે લોકજાગૃત્તિ અર્થે ૭૦ વર્ષના પિતા અને ૯૦ વર્ષના દાદા-દાદીને રસી અપાવી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં અત્યાર સુધીમાં ૧૦,૪૦૫(દસ હજાર ચારસો પાંચ) વ્યક્તિઓને પ્રથમ ડોઝ, જ્યારે ૫,૩૫૮(પાંચ હજાર ત્રણસો અઠ્ઠાવન) વ્યક્તિઓને બીજો ડોઝ અપાયો

રાષ્ટ્રીય રસીકરણ દિવસના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી (પીડિયાટ્રીક સર્જરી) વિભાગના તબીબ ડૉ. જયશ્રી રામજીએ પોતાના ૯૦ વર્ષના દાદા-દાદી અને 70 વર્ષના પિતાનું રસીકરણ કરાવીને સમાજ સમક્ષ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

આજે પણ સમાજમાં અનેક લોકો રસી લેવામાં ગભરાટ અનુભવે છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબની ત્રણ પેઢીએ કોરોના રસીકરણ કરાવીને સમાજમાં ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે. મહિલા તબીબે તેમની ત્રણ પેઢીના સભ્યોને કોરોનાની રસી અપાવી કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત અને સુરક્ષિત હોવાનો સંદેશ લોકોને આપ્યો છે.

૪૩ વર્ષના ડો.જયશ્રી રામજીએ કોરોનાની રસી લીધી. તેમણે પિતા(૭૦ વર્ષ) એસ.રામજીને પણ રસી અપાવી તેમજ ૯૧ વર્ષના દાદા સહસ્રરાનામન અને ૯૦ વર્ષના દાદી બાલમબાલ સહસ્રરાનામનને પણ રસી અપાવી.

કોરોના રસીકરણ કરાવ્યા બાદ પ્રતિભાવ આપતા ડૉ.જયશ્રી રામજીએ કહ્યું કે,  રાષ્ટ્રીય રસીકરણ દિવસે અમારી ત્રણ પેઢીએ એક સાથે વેક્સિન લીધી છે તેનો મને આનંદ છે.

તેઓએ ઉમેર્યુ કે, મારા દાદા-દાદી 90 વર્ષના હોવાથી વેકસીન આપતા પહેલા સિવિલના તબીબોનું માર્ગદર્શન મેળવ્યું હતુ. તેમણે ઉમેર્યું હતું કે વેક્સિન બાદ બધાને ઓબ્ઝર્વેશનમાં રખાયા હતા, અને કોઇને રસીની આડઅસર વર્તાઇ નથી.

રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના રસીકરણની કરવામાં આવેલી કામગીરીનો ચિતાર આપતા કહે છે કે, અમદાવાદ સિવિલમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કોરોના રસીકરણની શરૂઆત કરાવવામાં આવી ત્યારથી આજદિન સુધી અમારા રસીકરણ કેન્દ્રમાં ૧૦,૪૦૫ વ્યક્તિઓને રસીકરણનો પ્રથમ ડોઝ જ્યારે ૫,૩૫૮ વ્યક્તિઓને કોરોના રસીકરણનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જેમાં  ૯૮૪ જેટલા વરિષ્ઠ નાગરિકો, ૫૩૮ કોમોર્બિડ દર્દીઓને કોરોના રસીકરણનો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે ૯૭૪૮ જેટલા હેલ્થકેર વર્કરો  અને ૪૪૯૩ જેટલા કોરોના ફ્રંટલાઇન વર્કરોને પણ અભેદ સુરક્ષા કવચ પુરુ પાડવામા આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના એડિશનલ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ રાજ્યના તમામ નાગરિકોને કોરોના રસીકરણ ફરજીયાતપણે કરાવવા અપીલ કરીને સ્વદેશી કોરોના રસી સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું કહ્યું હતુ. રાષ્ટ્રીય રસીકરણ દિવસે ડૉ. રાકેશ જોષીએ કોરોના રસીકરણ કરાવીને જ કોરોનાને હરાવી શકીશુ તેવી ભાવના વ્યક્ત કરી હતી.

સમગ્ર દેશમાં ૧૬ મી માર્ચ ને“રાષ્ટ્રીય વેક્સિન દિવસ”તરીકે ઉજવવામાં આવે છે. અતિગંભીર રોગો સામે રક્ષણ પુરુ પાડવામાં રસી આવશ્યક છે. કોરોના જેવી અતિ ગંભીર અને કપરી મહામારીમાં કોરોના વાયરસ સામે લડવા વેક્સિનરૂપી અભેદ સુરક્ષા કવચ દેશના તમામ નાગરિકો માટે જરૂરી બની રહ્યું છે.

સમગ્ર દેશમાં ૧૬મી જાન્યુારીના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કોરોના રસીકરણ મહાઅભિયાનનો શુભારંભ થયો હતો. જેના ભાગરૂપે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ  સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્યવ્યાપી કોરોના રસીકરણ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

હાલ સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણના બીજા તબક્કાની પણ શરૂઆત થઇ ચૂકી છે. સમગ્ર રાજ્યમાં કોમોર્બિડ દર્દીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે કોરોના રસીકરણની શરૂઆત કરાવવામાં આવી છે.

રાષ્ટ્રીય વેક્સિન દિવસની ઝાંખી –અતિગંભીર રોગ સામે રક્ષણ મેળવવા માનવશરીરમાં રોગપ્રતિકારક ક્ષમતા અથવા તો એન્ટીબોડીઝ પેદા કરવા માટે રસી જરૂરી બની રહે છે. ભારતમાં ૧૯૯૫માં માર્ચ ૧૬ થી રાષ્ટ્રભરમાં પોલીયો રસીકરણ અભિયાન શરૂઆત કરવામાં આવી હતી. ત્યારથી  દર વર્ષે ૧૬મી માર્ચને રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે રાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.