Western Times News

Gujarati News

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી : કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો

File

અમદાવાદ: ગુજરાતમાં આગામી ૨૩ માર્ચ સુધી એટલે કે બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયુ છે જેના કારમે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામને કરવો પડી રહ્યો છે. આ સાથે આ પંથકના ખેડૂતોમાં પણ ચિંતા છવાઇ છે. નોંધનીય છે કે, હવામાન વિભાગે ૨૧થી ૨૩ માર્ચ સુધી વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે, રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જેથી કેર સહિતના પાકોને નુકસાન થવાની ભીતી છે.

હવામાન વિભાગે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં વરસાદની આગાહી સાથે જ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સૌરાષ્ટ્ર-કચ્છ સહિત અનેક વિસ્તારમાં આગામી બે દિવસમાં કાળઝાળ ગરમીની પણ આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ગુજરાત સિવાય દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ કમોસમી વરસી શકે છે.

એક તરફ કમોસમી વરસાદની આગાહી છે તો બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઇ છે. રાજ્યમાં ઉત્તર-પશ્ચિમ ઉતરના પવનો ફૂંકાતાની સાથે મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. આ વર્ષે હવામાન વિભાગે પૂર્વાનુમાન જાહેર કર્યું હતું ઉનાળામાં સામાન્ય કરતા તાપમાન ઊંચું રહેશે. સાથે જ હવામાન વિભાગે દરિયા કિનારા વિસ્તારો સોમનાથ, દીવ અને પોરબંદરમાં હિટવેવની આગાહી પણ આપી હતી.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, તારીખ ૨૩થી ૨૫ માર્ચ દરમિયાન ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના કેટલાંક ભાગ તેમજ કચ્છ, ગુજરાતના વિવિધ ભાગોમાં ધુળકણ સાથે કમોસમી વરસાદ કે કરા પડવાની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ભારતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધી રહેશે. તમિલનાડું, કર્ણાટક, દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. તા. ૨૧થી ૨૩ અને ૨૬ અને ૨૭ માર્ચે પણ હવામાનમાં પલટો આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.