Western Times News

Gujarati News

કોવિડ-19 દરમિયાન ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ: આપણે શું જાણવું જરૂરી છે

ભારત હાલમાં કોવિડ-19 મહામારીના બીજા તબક્કા સામે જંગ લડી રહ્યું છે અને નવા સંક્રમિત થતા લોકોની સંખ્યામાં તીવ્ર વૃત્તિના કારણે સક્રિય કેસોના કુલ આંકડામાં ચેતવણીજનક વધારો નોંધાયો છે.

પરિણામરૂપે, આપણી આરોગ્ય માળખાગત સુવિધાઓ પર ઘણો તણાવ આવ્યો છે અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની માંગમાં પણ નોંધનીય વધારો થયો છે.

આથી, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ચોક્કસપણે શું હોય છે, ક્યારે તેની જરૂર પડે અને કેવી રીતે તેનો ઉપયોગ કરવો? અથવા ના કરવો? વગેરે પ્રશ્નોના જવાબ માટે અહીં માહિતી પૂરી પાડવામાં આવી છે.

જીવન ટકાવવા માટે આપણને એકધારા ઓક્સિજનના પૂરવઠાની જરૂર પડે છે, જે આપણા ફેફસામાંથી શરીરના વિવિધ ભાગોમાં આવેલા કોષો સુધી પહોંચે છે. કોવિડ-19 એ શ્વસનતંત્રને લગતી બીમારી છે જેમાં આપણા ફેફસા પર અસર પડે છે

અને તેના કારણે ઓક્સિજનનું સ્તર જોખમી રીતે ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં, આપણને ઓક્સિજન ઉપચારની જરૂર પડે છે જેમાં તબીબી સારવાર માટે ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે જેથી તબીબી રીતે સ્વીકાર્ય સ્તર સુધી આફણા શરીરમાં ઓક્સિજનનું સ્તર વધારી શકાય.

ઓક્સિજનનું સ્તર ઓક્સિજન તૃપ્તતા દ્વારા માપવામાં આવે છે, જેને ટૂંકમાં SpO2 તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનના પ્રમાણનું આ માપ- શરીરમાં હિમોગ્લોબિનનું વહન કરે છે. સામાન્ય ફેફસાની સ્થિતિ સાથેની એક તંદુરસ્ત વ્યક્તિમાં ઓક્સિજન તૃપ્તતાનું પ્રમાણ 95%થી 100% સુધી હોય છે.

પલ્સ ઓક્સિમેટ્રી અંગે WHOના તાલીમ મેન્યુઅલ અનુસાર, જો ઓક્સિજનની તૃપ્તતા 94% કરતાં ઓછી થઇ જાય તો, દર્દીને તાત્કાલિક સારવારની જરૂર પડે છે. જો 90% ઓછા સ્તરે તૃપ્તતા થઇ જાય તો તબીબી ઇમરજન્સી ગણવામાં આવે છે.

હવે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા, પુખ્ત વયના કોવિડ-19 દર્દીઓના વ્યવસ્થાપન માટે અદ્યતન તબીબી માર્ગદર્શન અનુસાર જો દર્દીમાં ઓરડાની હવાએ 93% કરતાં ઓછી ઓક્સિજનની તૃપ્તતા નોંધાય તો, તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે, જ્યારે 90%થી નીચું સ્તર થઇ જાય તો, તેને ગંભીર બીમારી ગણવામાં આવે છે અને આવી સ્થિતિમાં દર્દીને ICUમાં દાખલ કરવાની જરૂર પડે છે.

જોકે, મહામારીના બીજા તબક્કાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા, જો તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ અનુસાર હોસ્પિટલમાં દાખલ થવામાં વિલંબ થાય અથવા દાખલ થઇ શકાય તેમ ના હોય તો, તેવી પરિસ્થિતિમાં આપણે આપણું ઓક્સિજનનું સ્તર પૂરતું રાખવા માટે આપણાથી શક્ય હોય તેવા શ્રેષ્ઠ પ્રયાસો કરવા જોઇએ.

ઓક્સિજન કોન્સન્ટ્રેટર – કેવી રીતે તે કામ કરે છે?

આપણે જાણીએ છીએ કે, વાતાવરણમાં અંદાજે 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર એક સરળ ઉપકરણ છે જે ચોક્કસપણ તેના ના પ્રમાણે જ કામ કરે છે- એટલે કે, તે પોતાની આસપાસની આસપાસની હવા અંદર ખેંચે છે અને તેમાંથી નાઇટ્રોજન વાયુને ફિલ્ટર કરીને બહાર કાઢીને ઓક્સિજનની સાંદ્રતા વધારે છે.

આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ કેન્યુલા, ઓક્સિજન માસ્ક અથવા નાસિકા ટ્યુબનો ઉપયોગ કરીને શરીરને જરૂર હોય તે પ્રમાણે ઓક્સિજનની ટેન્ક અથવા સિલિન્ડરની જેમ જ ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડીને કામ કરે છે. તેમાં તફાવત એટલો જ છે કે, સિલિન્ડર ફરી ભરવા પડે છે જ્યારે, ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ 24×7 ધોરણે કામ કરી શકે છે.

તો, કોણ તેનો ઉપયોગ કરી શકે અને ક્યારે કરી શકે?

શું આનો અર્થ એવો થાય કે, ઓક્સિજનના સ્વીકાર્ય સ્તરથી ઓછું સ્તર હોય તેવી કોઇપણ વ્યક્તિ કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી શકે અને કોઇને મદદરૂપ થઇ શકે? ચોક્કસપણે, ના.

કોન્સન્ટ્રેટર્સના ઉચિત ઉપયોગ વિશે PIB સાથે વાત કરતા પૂણેની બી.જે. મેડિકલ કોલેજના એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર અને વડા, પ્રો. સંયોગિતા નાઇકે જણાવ્યું હતું કે,

“ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ ફક્ત કોવિડ-19ના મધ્યમ લક્ષણો ધરાવતા કેસોમાં, દર્દીના ઓક્સિજનના સ્તરમાં ઘટાડો થાય ત્યારે, જો પ્રતિ મિનિટ ઓક્સિજનની જરૂરિયાત મહત્તમ 5 લીટર સુધીની હોય ત્યારે જ થઇ શકે છે.”

પ્રોફેસરે ઉમેર્યું હતું કે, કોવિડ પછીની સ્થિતિમાં જે દર્દીઓને ઓક્સિજન ઉપચારની જરૂર પડે તેવી સમસ્યાઓ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ખૂબ જ ઉપયોગી છે.

શું આપણે જાતે તેનો ઉપયોગ કરી શકીએ?

જવાબ છે, બિલકુલ નહીં. 30 એપ્રિલના રોજ PIB દ્વારા આયોજિત વેબિનાર વખતે વાત કરતા બેંગલોર સ્થિત સેન્ટ જ્હોન્સ મેડિકલ કોલેજના કોવિડ સંયોજક ડૉ. ચૈતન્ય એચ. બાલાક્રિશ્નને ખૂબ જ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તબીબી માર્ગદર્શન વગર ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ ખૂબ જ હાનિકારક પુરવાર થઇ શકે છે.

તેમણે ઉમેર્યું હતું કે, “કોવિડ-19ના કારણે મધ્યમ સ્તરના ન્યૂમોનિયાના દર્દીઓ કે જેમનામાં ઓક્સિજન તૃપ્તતાનું સ્તર 94% કરતાં ઓછું હોય તેમને ઓક્સિજન કોન્સન્ટ્રેટરની મદદથી પૂરક ઓક્સિજન આપવામાં આવે તો લાભ થઇ શકે છે પરંતુ જ્યાં સુધી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે ત્યાં સુધી જ આનો ઉપયોગ કરવો. જોકે, યોગ્ય તબીબી સલાહ લીધા વગર દર્દી પોતાની જાતે આનો ઉપયોગ કરે તો તે, હાનિકારક પૂરવાર થઇ શકે છે.”

ડૉ. ચૈતન્યએ પોતાની વાતના સમાપનમાં કહ્યું હતું કે, “આમ, તમને હોસ્પિટલમાં બેડ મળે ત્યાં સુધી, ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ લાભદાયી છે પરંતુ છાતીના નિષ્ણાત ફિઝિશિયન અથવા આંતરિક મેડિકલ વિશેષજ્ઞના યોગ્ય માર્ગદર્શન વગર ચોક્કસપણે તેનો ઉપયોગ ના કરવો જોઇએ. તે દર્દીની પહેલાંથી રહેલી ફેફસાની સ્થિતિ પર પણ નિર્ભર છે.”

પ્રો. સંયોગિતાએ પણ કહ્યું હતું કે, મેડિકલ ડૉક્ટરની સૂચનાના આધારે જ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની ખરીદી અને ઉપયોગ કરવામાં આવે છે. O2 કોન્સન્ટ્રેટરની કિંમત રૂ. 30,000થી શરૂ થઇને તેની ક્ષમતાના આધારે વધતી જાય છે.

ભારતમાં O2 કોન્સન્ટ્રેટરનું બજાર

ભારતમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સના ઉત્પાદન અને વેચાણમાં તીવ્ર વધારો થયો છે. બહુ-રાષ્ટ્રીય બ્રાન્ડ્સ ઉપરાંત, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના CAWACH (કોવિડ-19 આરોગ્ય કટોકટી સામે જંગ કેન્દ્ર) પ્રોગ્રામ અંતર્ગત ભંડોળ પ્રાપ્ત ઘણા ભારતીય સ્ટાર્ટ-અપ્સ દ્વારા કાર્યદક્ષ અને ઓછી કિંમતના ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ તૈયાર કરવામાં આવ્યા છે.

કોવિડ-19 મહામારીના બીજા તબક્કામાં તેની ઉપયોગિતાને ધ્યાનમાં રાખતા, 1 લાખ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ PM CARES ભંડોળ દ્વારા ખરીદવામાં આવી રહ્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.