Western Times News

Gujarati News

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા સેલવાસમાં વિવિધ જાહેર યોજનાઓનું ઉદઘાટન

કલમ 370 રદ કર્યા પછી, કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે, એક પણ ગોળી ચલાવાઈ નથી, એક પણ વ્યક્તિનું મોત થયું નથી: કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ

રાજકારણથી ઉપર ઉઠો અને રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાના મામલામાં એકતાપૂર્વક સાથે ઉભા રહો: શ્રી અમિત શાહ

સેલવાસ,  કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે આજે સેલવાસમાં વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન કર્યું હતું. અમિત શાહે કુલ 290 કરોડ રૂપિયાથી કરતા પણ વધુની જાહેર યોજનાઓ લોકોને અર્પણ કરતા ખુશી વ્યક્ત કરી હતી.

શ્રી શાહે કહ્યું કે 2014માં શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી જ સેલવાસે વિકાસ જોયો છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં દાદરા અને નગર હવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશના તમામ ઘરોમાં પાણી, વીજળી, સ્વચ્છતા અને ગેસ પહોંચ્યા છે.

શ્રી શાહે, મધ્યાહન ભોજન વાનની પહેલ બદલ અક્ષયપાત્ર ફાઉન્ડેશનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેનાથી કેન્દ્રશાસિત પ્રદેશોમાં બાળકોના આરોગ્ય અને પોષણનું સ્તર સુધારવામાં મદદ મળશે. શ્રી શાહે શ્રમ યોગી પ્રસાદ યોજનાની પ્રશંસા કરી, જે તેમના કાર્યક્ષેત્ર નજીક મજૂરોને પોષણક્ષમ પોષક ભોજન પ્રદાન કરશે.

શ્રી શાહે નોંધ્યું કે નમો મેડિકલ કોલેજમાં શૈક્ષણિક વર્ષની શરૂઆત સાથે, દર વર્ષે 150થી વધુ ભાવિ ડૉકટરોને તાલીમ આપવામાં આવશે, જે આસપાસના વિસ્તારની તબીબી જરૂરિયાતોને પૂર્ણ કરશે.

શ્રી શાહે જલશક્તિ મંત્રાલયની સ્થાપનાને પાણીના પ્રશ્ને અભૂતપૂર્વ સર્વગ્રાહી અભિગમ ગણાવતા કહ્યું કે ભવિષ્યમાં આ પગલાથી મોટો લાભ મળશે.

શ્રી શાહે નોંધ્યું કે ચાલુ વર્ષના બજેટમાં 14 કરોડ ઘરોને પાણી પહોંચાડવા માટે 3.5 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સરકાર 2022 સુધીમાં બધા ઘરોને પાઈપથી પાણી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીના આ નિર્ણયથી મહદઅંશે 130 કરોડ લોકોના જીવન પર અસર પડશે.

પ્લાસ્ટિક વપરાશ અને પર્યાવરણીય સંકટનો મુદ્દો ઉઠાવતા શ્રી શાહે મહિલાઓને પ્લાસ્ટિકની થેલીઓને કાપડની થેલીઓથી બદલવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે પ્રધાનમંત્રીનાં સ્વચ્છ ભારતના દૃષ્ટિકોણને આ પગલાથી વેગ મળશે.

શ્રી શાહે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, કલમ 370 અને 35એ રદ કરવાથી જમ્મુ-કાશ્મીરનું ભારત સાથે સંપૂર્ણ એકીકરણ થઈ ગયું. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી આ ક્ષેત્રમાં વિકાસ થશે અને આતંકવાદના અંતની નિશાની છે.

શ્રી શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કલમ 370 નાબૂદ થયા પછી, કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ છે. તેમણે કહ્યું હતું કે, એક પણ ગોળી અથવા ટીઅર ગેસ ચલાવવામાં આવેલ નથી અને કલમ 370 રદ કર્યા પછી, કાશ્મીરમાં એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી.

શ્રી શાહે, કલમ 370ના રદ કરવાનો વિરોધ કરનારાઓને અપીલ કરી હતી કે તેઓ રાજકારણથી ઉપર આવે અને રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડિતતાના મામલામાં સરકાર સાથે એકમત રહે.

શ્રી શાહે, સેલવાસ એજ્યુકેશન હબ અને પેરામેડિકલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો. તેમણે કેન્દ્ર શાસિત પ્રદેશની નવી પ્રવાસન નીતિ શરૂ કરી. તેમણે મિડ-ડે ભોજન વાનને લીલી ઝંડી આપી, યુવા છાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું અને શ્રમ યોગી પ્રસાદ યોજના શરૂ કરી હતી, જે તેમના કાર્યક્ષેત્ર નજીક મજૂરોને પોષણક્ષમ ભોજન પ્રદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન દાદરા અને નગર હવેલીના વહીવટ કર્તા શ્રી પ્રફુલ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.