Western Times News

Gujarati News

રાજ્ય સરકાર પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરશે નહિં, પરંતુ પાંચ વર્ષમાં થયેલા કામો જનતા સમક્ષ પ્રસ્તુત કરશે

File

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ

પાંચ વર્ષ આપણી સરકારના-સૌના સાથ સૌના વિકાસ’’ના અન્વયે પાંચ વર્ષમાં થયેલા જનહિત-લોકકલ્યાણના અનેક વિધ વિકાસ કામો-લોકાર્પણો-લાભ વિતરણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં થશે

તા. ૩ ઓગસ્ટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે ૪.રપ લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ પ કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ કરશે

 તા.૭મી ઓગસ્ટે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહ ‘વતન પ્રેમ’ નવતર યોજનાનો પ્રારંભ અને રૂ. ૩૯૦૬ કરોડના મોટા પ્રોજેકટના લોકાર્પણ-ખાતમૂર્હત કરશે

 તા.૧ ઓગસ્ટે જ્ઞાનશક્તિ દિવસ અન્વયે શિક્ષણના વિકાસકાર્યો- ગુણવત્તા સભર અને અદ્યતન સુવિધા યુકત શિક્ષણના લાભ-સહાય રૂ. ૩૨૩ કરોડ

 તા.ર ઓગસ્ટે સંવેદના દિવસે નાના-ગરીબ-વંચિત લોકો પ્રત્યેની સંવેદના સાથે પ૦૦ સ્થળોએ સેવાસેતુ કાર્યક્રમોમાં લાખો લોકોને સરકારની યોજનાઓના લાભ અપાશે ૪૯૪૧ અનાથ-નિરાધાર બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય

 તા.પ મી ઓગસ્ટે કિસાન સન્માન દિવસે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત ૩૦૨૫ ખેડૂતોને રૂ. ૫.૧૮ કરોડનું સહાય વિતરણ

 ૧૪૦૦ ગામોના ૧ લાખ ૧૦ હજાર ખેડૂતોને દિવસે વીજળી કિસાન સૂર્યોદય યોજના અન્વયે અપાશે

 તા.૪ ઓગસ્ટે રાજ્યના ૧૦ હજાર સખી મંડળોની ૧ લાખ બહેનોને રૂ. ૧૦૦ કરોડ સહાય રાજ્ય સરકાર વગર વ્યાજે આપશે

 કોરોનાના કપરાકાળમાં પણ વિકાસની ગતિ અટકી નથી-રાજ્યના પ૦ હજારથી વધુ યુવાઓને વિવિધ વિભાગોમાં રોજગારી અંગેના નિમણૂંક પત્રો તા. ૬ ઓગસ્ટ રોજગાર દિવસે અપાશે

 તા.૭ ઓગસ્ટે વિકાસ દિવસ અન્વયે હિંમતનગરમાં મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૧૦૦ ટકા રસીકરણ થયેલા ગામોના ૧૦૦૦ સરપંચોનું સન્માન-૧૦૦ થી વધુ PSA પ્લાન્ટ લોકાર્પણ-કોરોના વોરિયર્સના સન્માન થશે

 તા.૮ મી ઓગસ્ટે પાંચ હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ કામો શહેરી વિસ્તારોમાં લોકાર્પણ-શુભારંભ શહેરી જનસુખાકારી દિવસે થશે

 તા.૯મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ૩ આદિજાતિ તાલુકાઓમાં રૂ. ૮૧૭ કરોડના વિવિધ ૧૮૬ વિકાસ કામો હાથ ધરાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાશે.

પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરાશે.
સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકારનું આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે.

કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ગાઈડલાઈન્સના સંપૂર્ણ પાલન સાથે આ કાર્યક્રમ યોજાશે, તે અંતર્ગત તારીખ ૧ ઓગસ્ટ જ્ઞાનશક્તિ દિવસ, ૨ ઓગસ્ટ સંવેદના દિવસ, ૩ ઓગસ્ટ અન્નોત્સવ દિવસ, ૪ ઓગસ્ટ નારી ગૌરવ દિવસ, ૫ ઓગસ્ટ કિસાન સન્માન દિવસ, ૬ ઓગસ્ટ રોજગાર દિવસ, ૭ ઓગસ્ટ વિકાસ દિવસ, ૮ ઓગસ્ટ શહેરી જનસુખાકારી દિવસ અને ૯ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે.

તા. ૩ જી ઓગષ્ટના રોજ “સર્વને અન્ન, સર્વને પોષણ” અંતર્ગત ‘અન્નોત્સવ દિવસ’ અન્વયે યોજાનારા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહેશે.

વડાપ્રધાનશ્રી રાજ્યની ૧૭ હજારથી વધુ સરકાર માન્ય સસ્તા અનાજની વાજબી ભાવની દુકાનો પરથી સવા ચાર લાખ જેટલા ગરીબ, અંત્યોદય લાભાર્થીઓને લાભાર્થી દિઠ પ કિલો અનાજની કિટનું વિતરણ કરશે. દાહોદ ખાતેના રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી અને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા પણ જોડાશે. પ્રધાનમંત્રીશ્રી પાંચ જિલ્લાઓના પાંચ વાજબી ભાવોની દુકાનો પર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.

આ ઉપરાંત NFSA અંતર્ગત અંદાજિત ૭૨ લાખ પરિવારોને (૩.૫ કરોડની વસ્તી) વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ અને બેગ આપવાનો શુભારંભ કરાશે. સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત ૮ લાખ ૫૦ હજાર લોકો સહભાગી થશે.

તા. ૧ ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતા હેઠળ અને શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે ‘જ્ઞાન શક્તિ દિવસ’ની અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે.

રાજ્યની ૧૦૦ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા ૫૧ ઉચ્ચ શિક્ષણના કાર્યક્રમો સહિત કુલ ૧૫૧ કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૩૫ કરોડના ખર્ચે ૩૬૫૯ શાળાઓના તૈયાર થયેલા ૧૨ હજાર જેટલા સ્માર્ટ ક્લાસનું પણ લોકાર્પણ કરવામાં આવશે. રૂ. ૯૫ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૧૦૫૦ શાળાના ઓરડાઓ, રૂ. ૧૦ કરોડ ૨૬ લાખના ખર્ચે તૈયાર થયેલા ૭૧ પંચાયત ઘર, રૂ. ૪ કરોડ ૮૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા ધોળકા અને નવસારી તાલુકા પંચાયતના મકાનનું લોકાર્પણ પણ કરાશે. રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ૨૫૬ માધ્યમિક શાળાઓમાં કમ્પ્યુટર લેબનો શુભારંભ પણ કરવામાં આવશે.

શોધ યોજના અંતર્ગત ૧૦૦૦ પી.એચ.ડી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત ૨૦૦૮ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય વિતરણ તેમજ નમો ઈ-ટેબલેટ વિતરણનો કાર્યક્રમ પણ યોજાશે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી હેઠળ રાજ્યની ૧૬ કોલેજો અને યુનિવર્સિટીઓ સાથે એમ.ઓ.યુ કરવામાં આવશે જેનો ૧૮,૬૭૦ વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે.

આ ઉપરાંત રૂ. ૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં વિવિધ ૬૪૭ શાળાના ઓરડાઓ, રૂ. ૨૦૭૬ કરોડના ખર્ચે ૧૪૪ પંચાયત ઘર નિર્માણ માટે પણ ખાતમુહર્તનો કાર્યક્રમ યોજવામાં આવશે.

તા. ૨ જી ઓગષ્ટના રોજ ‘સંવેદના દિવસ’ અન્વયે રાજકોટમાં મુખ્યમંત્રીશ્રી અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર ઉપસ્થિતિ રહેતા વિવિધ જનહિતકારી યોજનાઓના દસ્તાવેજો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે તાલુકા, નગરપાલિકા અને મહાનગર પાલિકાઓમાં ૪૩૩ જેટલા સેવા સેતુ કાર્યક્રમોનુ આયોજન છે. રાજ્યના ૨૪૮ તાલુકા અને ૧૫૬ નગરપાલિકા તેમજ મહાનગરપાલિકા કક્ષાએ ઝોન દીઠ એક વોર્ડમાં ૨૯ સેવા સેતુ કાર્યક્રમો યોજાશે.

સંવેદના દિવસ અન્વયે યોજાનારા સેવાસેતુ સહિતના કાર્યક્રમોમાં નાના, સામાન્ય વર્ગના, ગરીબ, વંચિત લોકોને દિવ્યાંગ, વૃદ્ધો અને કોરોનામાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર અનાથ બાળકોને વિવિધ લાભ સહાય અપાશે જે અન્વયે ૪૯૪૧ બાળકોને રૂ. ૧.૧૮ કરોડની સહાય પણ અપાશે.

કોરોના કાળમા મૃત્યુ પામેલ માતા પિતાના બાળકો માટે સમાજ કલ્યાણ વિભાગ અને જેએમ ફાઈનાન્સિયલ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે શિક્ષણમાં સહાયરૂપ થવાની યોજનાનો શુભારંભ થશે. પાલક માતા-પિતા, દિવ્યાંગ, વિધવા અને વૃધ્ધો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે તા. ૪થી ઓગષ્ટે ‘નારી ગૌરવ દિવસ’ નિમિત્તે રાજ્યની મહિલાઓના સન્માન તથા ઉત્કર્ષના હેતુસર મહિલાઓ સાથે સંકળાયેલા મહિલાલક્ષી વિવિધ કાર્યક્રમોનું વડોદરાથી શુભારંભ કરાવશે.

રાજ્યના ૧૦ હજાર જેટલી મંડળોની ૧ લાખ બહેનોને કુલ ૧૦૦ કરોડ રૂપિયા રાજ્ય સરકાર વગર વ્યાજે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે આપશે.

જેમાં શહેરી વિસ્તારમાં ૩૮ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ મળીને કુલ ૧૦૮ જેટલા મહિલા ઉત્કર્ષ યોજનાના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં શહેરી વિસ્તારમાં ૫૦૦૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૦૦૦ આમ કુલ ૧૦ હજારથી વધુ સખી મંડળો ભાગ લેશે.

તદઉપરાંત મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૨૦૦ આંગણવાડી મકાનોનું લોકાર્પણ તેમજ ૧૪૩ આંગણવાડી મકાનોનું ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે. આ સાથે લુણાવાડા અને નવસારીમાં સખી વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ તેમજ મોડાસા, હિંમતનગર અને ગાંધીનગર ખાતે ખાતમૂર્હૂત કરાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુ તા.૫ મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવશે.

આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે ૧૨૧ સબ સ્ટેશન તેમજ ૫૬૧ ફીડર દ્વારા ૧૪૦૦ ગામોના આશરે ૧,૧૮,૦૦૦ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદઉપરાંત રૂપિયા ૭૯ કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર પાટીલના હસ્તે તા. ૬ ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૫૦ જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ થશે.

રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂંક પત્રો અર્પણ થશે.

‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.

તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ શનિવાર ‘વિકાસ દિવસ’ અંતર્ગત ભારતના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ અને પ્રદેશ પ્રમુખ શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગરથી વિવિધ વિકાસ કામોના લોકાર્પણ, ભૂમિપૂજન અને શુભારંભ કરાવશે.

તેઓ વિકાસ દિવસે ‘‘વતનપ્રેમ’’ યોજનાનો શુભારંભ પણ કરાવવાના છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત રૂ. ૩૮૨ કરોડના રપ હજાર આવાસોનું લોકાર્પણ અને રૂ. ૭૦૩ કરોડના ૪૬ હજાર આવાસનું ખાતમૂહર્ત થશે. આઇ.ટી.આઇ.ના રૂ. ૨૪૫ કરોડના વિવિધ કામોનું લોકાર્પણ થશે.

વિકાસ દિવસે રૂ. ૪૮૯ કરોડની પિયજ-ઉણદ પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ, ડીસા નેશનલ હાઇવેનો નવનિર્મિત રૂ. ૪૬૪ કરોડના બ્રિજનો લોકાર્પણ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અને શહેરી આવાસ યોજનાઓ(EWS/LIG સહિત)ના નિર્માણ પામેલા રૂ. ૩૨૩ કરોડના ૫૧૭૦ આવાસોનું ડ્રો/લોકાર્પણ/ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થશે. રૂ. ૨૮૬ કરોડના GEB ૨૧ સબ સ્ટેશનોનું લોકાર્પણ અને ૮ સબ સ્ટેશનનું ખાતમૂહર્ત અને રૂ. ૨૬૫ કરોડની ધાંધુસણથી રેડ લક્ષ્મીપુરા પાઇપલાઇનનું મહેસાણાથી લોકાર્પણ થશે.

આ દિવસે ગુજરાત રાજય વાહનવ્યવહાર નિગમ દ્વારા રૂ. ૨૫૫ કરોડના ૧૫૧ બસો, ૫ બસસ્ટેશન અને એક વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાશે. બગોદરા, ધંધુકા, વલ્લભીપુર, ભાવનગર રસ્તાને રૂ. ૧૫૩ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું ખાતમુહૂર્ત કરાશે. સૌની યોજના – વિકળીયાથી બોર તળાવ (ભાવનગર) ૫૩.૫૩૨ કિ.મી.ની રૂ. ૧૪૬ કરોડની પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૯૭ કરોડની ભાસરીયા – મહેસાણા પાઇપલાઇનનું લોકાર્પણ, રૂ. ૭૫ કરોડની માતપુરથી બ્રહમાણવાડા ઉદવહન પાઇપલાઇન યોજનાનું ખાતમૂર્હત અને ગાંધીનગર-અમદાવાદ વચ્ચે રૂ. ૨૩ કરોડના બે બ્રિજનું લોકાર્પણ થશે. આમ કુલ આશરે રૂ. ૩૯૦૬ કરોડના કામોનો લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવશે.

વિકાસ દિવસે જિલ્લા દીઠ ૧ અને મહાનગર પાલિકા દીઠ ૧ મળીને કુલ ૪૧ કાર્યક્રમો યોજાશે. ઉપરાંત, લોકાર્પણ અને ખાતમુહર્તના સ્થળે મહાનુભાવોની હાજરીમાં કાર્યક્રમો યોજવામાં આવશે.

તા. ૭મી ઓગસ્ટ, ૨૦૨૧ – શનિવારે સાંજે ‘વિકાસ દિવસ’ અન્વયે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ હિંમતનગરમાં આરોગ્ય સુખાકારી કાર્યક્રમમાં સહભાગી થશે. આ પ્રસંગે શ્રેષ્ઠ કામગીરી કરનારા કોરોના વોરીયર્સનું સન્માન કરાશે. ૮૧ MT કેપેસિટીના ૧૧૫ PSA ઑક્સિજન પ્લાન્ટનો શુભારંભ અને ૧૦૦ ટકા રસીકરણ થયેલ ૧૦૦૦ ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવશે.

આ પ્રસંગે આરોગ્ય વિભાગના ૭૧ કામોના લોકાર્પણ-ખાતમુહર્ત થશે. જે પૈકી, રૂ. ૫૮ કરોડના ખર્ચે નિર્મિત ૧૦ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, ૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને ૧૮ સબસેન્ટર્સનું લોકાર્પણ, અને રૂ. ૭૦ કરોડના ખર્ચે નિર્મિત ૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ અને ૧૯ સબસેન્ટર્સનું ખાતમુહૂર્ત થશે.

તા. ૦૮મી ઓગસ્ટ રવિવારે ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે આયોજીત કાર્યક્રમમાં રૂ. ૫૮૫૫ કરોડની માતબર રકમના લોકાર્પણ, ખાતામુહૂર્ત અને સહાય વિતરણ થશે.

શહેરી જન સુખાકારીની વ્યવસ્થા વધુ સઘન બનાવવા માટે રાજયની ૦૮ મહાનગર પાલિકાઓ અને ૧૫૬ નગરપાલિકાઓને ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રૂપિયા ૧૦૦૦ કરોડના ચેકનું વિતરણ કરાશે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તેમજ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા રૂપિયા ૧૩૮૮ કરોડના ૫૫૧ કામોના લોકાર્પણ અને ખાતમૂર્હૂત થશે.

વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદને રૂપિયા ૩ હજાર કરોડની રકમની સૈદ્ધાંતિક મંજુરી, એશિયન ડેવલોપમેન્ટ બેંક દ્વારા રાજકોટના વોટર સપ્લાય પ્રોજેક્ટની રૂ. ૩૨૮ કરોડની ગ્રાન્ટ, નગરપાલિકાઓમાં રૂ. ૧૦૦ કરોડના વોટર સપ્લાય પ્રોજેક્ટ અને ગ્રીન સીટી સુરતને રૂ. ૩૮ કરોડની ચુકવણી થશે. આ દિવસે રાજ્યની ૮ મહાનગરપાલિકામાં તેમજ ૩૨ જિલ્લામાં એક એમ કુલ ૪0 જેટલા કાર્યક્રમો યોજાશે.

તા. ૯મી ઓગસ્ટ, ૨૦૨૧ – સોમવારના રોજ ગુજરાતભરમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ અંતર્ગત ૫૩ આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને વનમંત્રી શ્રી ગણપતસિંહ વસાવા રાજપીપળા(નર્મદા)થી કાર્યક્રમનો શુભારંભ કરાવશે.

વિશ્વ આદિવાસી દિવસે પ લાખ વિદ્યાર્થીઓને પ્રીમેટ્રીક શિષ્યવૃત્તિ હેઠળ રૂ. ૮૦ કરોડની ચુકવણી થશે. બીરસા મુંડા આદિવાસી વિશ્વ વિદ્યાલયનું ખાતમુહૂર્ત કરાશે. હળપતી આવાસ યોજના હેઠળ ૨૦૦૦ આવાસો તેમજ અન્ય આવાસ યોજના હેઠળ ૧૦૦૦ આવાસોના હુકમો આપવામાં આવશે.

વ્યક્તિગત યોજનાના કુલ ૨૦૦૦૦ લાભાર્થીઓને રૂ. ૫૬ કરોડની સહાયનું વિતરણ કરાશે. રૂ. ૩૫૫ કરોડના ખર્ચે ૧૪૯ કામોનું લોકાર્પણ અને રૂ. ૪૬૨ કરોડના ખર્ચે ૩૭ કામોનું ખાતમુહર્ત એમ કુલ ૮૧૭ કરોડ રૂપિયાના વિકાસકામોનો લાભ આદિવાસી જનતાને મળશે.

રાજ્યના વિવિધ જિલ્લા-તાલુકા મથકોએ આ કાર્યક્રમોમાં વિધાનસભા અધ્યક્ષ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ ધારાસભ્યો, પદાધિકારીઓ તેમજ જિલ્લા-તાલુકા પંચાયત પ્રમુખો, મહાનગરોના મેયરશ્રીઓ, બોર્ડ કોર્પોરેશનના અધ્યક્ષો સહભાગી થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.