Western Times News

Gujarati News

સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે

અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીએ આજે સરદાર ધામનું ઈ-લોકાર્પણ કર્યું છે. આ સાથે જ સરદાર ધામના ફેઝ-૨નું ખાતમુર્હૂત પણ કર્યું. અમદાવાદમાં ૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદાર ધામના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ મોદીએ ‘કેમ છો બધા, વરસાદ-પાણી કેમ છે…’ પૂછીને સંબોધન શરૂ કર્યુ હતું. તેમણે કહ્યું કે, આજે સમગ્ર દેશ ગણેશ ઉત્સવ ઉજવી રહ્યો છે. તમને બધાને આ ઉત્સવના અભિનંદન. આજે ઋષિપંચમી પણ છે. ભારત ઋષિ પરંપરાનો દેશ છે. તેમનાથી આપણી ઓળખ થઈ છે. આપણે તે વારસાને આગળ ધપાવીએ.

આજે મારા તરફથી તમામ નાગરિકોને મિચ્છામી દુક્કડમ. સરદાર પટેલના ચરણોમાં વંદન, સરદારધામના ટ્રસ્ટીઓને અભિનંદન. તેમના પ્રયાસોથી સરદાર ધામ આકાર પામ્યું અને ફેઝ ટુ નો પાયો નંખાયો. સરદારધામ અનેક યુવાઓને સશક્ત કરશે. પાટીદાર સમાજના યુવકો સાથે ગરીબ અને મહિલાઓના સશક્તિકરણ પર તમે ભાર મૂક્યો તે સરાહનીય છે. સરદાર ધામ આવનારી પેઢીને સરદાર સાહેબના જીવનના આદર્શ પર જીવવા પ્રેરણા આપશે.

તેમણે કહ્યું કે, સરદારધામના ઉદઘાટનની તારીખ બહુ જ નોંધનીય છે. આજે ૯/૧૧ છે, આ દિવસે આપણને ધણુ બધુ આપ્યું છે. જે દિવસે માનવતા પર હુમલો થયો હતો. આ જ દિવસે શિકાગોમાં ધર્મસંસદનું આયોજન થયુ હતું. આજના જ દિવસે સ્વામી વિવેકાનંદે પરિષદમાં ભારતીય મૂલ્યોનું મહત્વ દુનિયાને સમજાવ્યુ હતું. આજના દિવસે આ ભારતના મહાનવીર સુબ્રમણ્યમ ભારતીની ૧૦૦ મી પુણ્યતિથિ પણ છે.

સુબ્રમણ્યમ ભારતી આજના દિવસે એક મહત્વની જાહેરાત પીએમ મોદીએ કરી કે, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સુબ્રમણ્યમ ભારતીના નામથી ચેર સ્થાપિત કરાવનુ નક્કી કરાયું છે. તમિલ ભાષા વિશ્વની સૌથી પુરાતન ભાષા છે. તેથી તમિલ સ્ટડી પર સુબ્રણ્યમ ભારતી સ્ટડી બનારસની ફેકલ્ટી ઓફ આર્ટસમાં સ્થાપિત કરાશે. જે રિસર્ચ ફેલો માટે પ્રેરણારૂપ બની રહેશે. તેઓ હંમેશા ભારતની અને માનવતાની એકતા પર બળ આપતા હતા. આપણે જે પ્રગતિ કરી છે આ સમાજ વચ્ચે કરી છે. તેથી જે આપણને મળ્યુ છે તે માત્ર આપણુ નથી, તે આપણા સમાજનું અને દેશનુ પણ છે.

૭ લાખ ૧૯ હજાર સ્કેવર ફીટમાં સરદાર ધામ આકાર પામ્યું છે. જેમા જીપીએસસી અને યુપીએસસી કેન્દ્ર ઉપરાંત ડિફેન્સ જ્યુડિશરી, રાજનીતિ તેમજ મીડિયા કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ૯૦૦ વિદ્યાર્થીઓની ક્ષમતાની ઈ-લાઈબ્રેરી બનાવવામાં આવી છે. તથા ૫૦ રૂમ વિશ્રામગૃહ માટે અનામત રાખવામાં આવ્યા છે. સરદાર ધામમાં ૧૬૦૦ દીકરીઓ માટે રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તેમજ ૧ હજાર વ્યક્તિની ક્ષમતાના ૨ હોલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સુરત, ઉંઝા, બરોડા અને ભાવનગરની સમાજની સંસ્થાઓ સાથે એમઓયુ કરીને જીપીએસસી અને યુપીએસસી તાલિમ કેન્દ્રો સરદાર ધામમાં શરૂ કરવામાં આવ્યા છે. આ તાલિમ કેન્દ્રનો ૫૦% ખર્ચ જે-તે સંસ્થા દ્વારા તેમજ ૫૦% ખર્ચ સરદારધામ દ્વારા આપવામાં આવે છે. આ તાલિમ કેન્દ્રના પારદર્શક વહિવટ માટે સરકારમાંથી નિવૃત થયેલા સફળ અને યોગ્ય દિશા સૂચન કરી શકે તેવા આઇએએસ અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી છે. એક સામાન્ય પરિવારનો દીકરો કે દીકરી સ્પર્ધાત્મક પરિક્ષાની પ્રિલીમ પરીક્ષાથી લઈને છેક ઈન્ટર્વ્યૂ સુધી તાલીમ અને માર્ગદર્શન વિનામુલ્યે મેળવી શકે તે પ્રકારે અહીં સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.