Western Times News

Gujarati News

સાબરમતી રિવરફ્રન્ટના ફેેઝ-રના ૪૦ ટકા ભાગને જમીન કૌભાંડથી માઠી અસર

અમદાવાદ, મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બનેલા સાબરમતી રિવરફ્રંટને રૂા. ૮પ૦ કરોડના ખર્ચે વધુ વિકસિત કરવાની દિશામાં મહત્વાકાંક્ષી આયોજન ઘડી કઢાયું છે, જેમાં તંત્રને કેન્ટોમેન્ટ બોર્ડ સાથે થયેલા એમઓયુથી કોન્ટોન્મેન્ટની પાછળના ભાગમાં જમીન ઉપલબ્ધ થઈ છે

એટલે આ ભાગમાં રૂા.૧૦૦ કરોડના ખર્ચે રિવરફ્રન્ટ વિકસાવવા માટે કામગીરી આરંભાઈ છે, પરંતુ તાજેતરમાં ફેઝ-ર માટેની રાજ્ય સરકારની માલિકીની તદીની જમીનને કેટલાંક માથાભારે તત્વો દ્વારા અન્ય સરવે નંબરમાં ભેળવીને પચાવી પાડવાનું કૌભાંડ બહાર આવ્યું છે. આ જમીન કૌભાંડને પગલે ફેઝ-રના ૪૦ ટકા ભાગને માઠી અસર પડી છે.

ગયા ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફેઝ-રમાં થયેેલું જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. કરોડો રૂપિયાની સરકારી જમીનને પચાવી પાડવામાં કેટલાક મોટાં માથાંની સંડોવણી હોવાની ચર્ચા ઉઠી છે, જેના કારણે સાબરમતી રિવરફ્રન્ટને અમદાવાદીઓ માટે પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવરથી ઈન્દિરાબ્રિજ અને પૂર્વ કાંઠે શાહીબાગ,

ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી લંબાવવાના તંત્રના પ્રયાસોને ગંભીર ફટકો પડ્યો છે. અત્યારે તો કેન્ટોન્મેન્ટની પાછળની જમીનમાં આશરે રૂા. ૧૦૦ કરોડના ખર્ચે ૧.રપ કિ.મી. લંબાઈના પૂર્વ કાંઠાના પટ્ટામાં યુધ્ધસ્તરે કામ ચાલી રહ્યું છે. શાહીબાય ડફનાળાથી કેમ્પ સદર બજાર સુધી રિવરફ્રન્ટ પ્રોજેક્ટને વિકસિત કરવા માટે ગત તા. ર૩ જાન્યુઆરી, ર૦ર૧એ ટેન્ડર બહાર પડાયું હતું.

હવે તંત્ર દ્વારા રાજ્ય સરકાર પાસે નદીની જમીન મેળવવાના પ્રયાસો થતાં આ કૌભાંડ બહાર આવ્યું છે. હજુ પણ આ કૌભાંડનું કોકડું ઉકેલાયું નથી. બીજા અર્થમાં સત્તાવાળાઓને રાજ્ય સરકાર પાસે માંગેલી જમીન હજુ પણ મળી નથી. આના કારણે પૂર્વ કાંઠા પર કોટેશ્વર ગામની સીમથી ભાટ ગામ સુધીની નદીની જમીન મેળવવાનું તંત્ર માટે અશક્ય બન્યું છે.

પૂર્વ કાંઠે આ કરોડો રૂપિયાના જમીન કૌભાંડથી દોઢથી બે કિ.મી.ના ભાગને માઠી અસર પહોંચી છે. જ્યારે પશ્ચિમ કાંઠાની નદીની જમીન ઉપર પણ કૌભાંડ આચરાયું હોવની ખુદ તંત્રને આશંકા છે. એટલે તે દિશામાં પણ સત્તાવાળાઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.

આમ તો ફેઝ-ર હેઠળ પશ્ચિમ કાંઠા પર ટોરેન્ટ પાવરથી ઈન્દીરાબ્રિજ સુધી વધુ પાંચ કિ.મી. એમ બન્ને કાંઠે કુલ દસ કિ.મી. રિવરફ્રન્ટને લંબાવવાનો ગંભીર પ્રયાસ સત્તાવળાઓએ હાથ ધર્યો છે. ફેઝ-૧ હેઠળ તંત્રને અમદાવાદીઓ માટે મનોરમ્ય સાબરમતી રિવરફ્રન્ટ વિકસિત કરવામાં સફળતા મળી છે.

એટલે હવે ફેઝ-ર હેઠળ રિવરફ્રન્ટને સાબરમતી નદીના બન્ને કાંઠા પર વધુ કુલ ૧૦ કિ.મી. લંબાવવાનું આયોજન હાથ ધરાયું છે, જેમાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડના કારણે તેનું ભવિષ્ય અધ્ધરતાલ બન્યું છે. પૂર્વ કાંઠા પર પાંચ કિ.મી.ના પટ્ટા પૈકી બે કિ.મી.નો પટ્ટો અને પશ્ચિમ કાંઠા પરના પાંચ કિ.મી.ના પટ્ટા પર પણ તે જમીન કૌભાંડની ઓછી-વત્તી અસર થઈ હોઈ હાલના તબક્કે તો ૪૦ ટકા ભાગ પર રિવરફ્રન્ટ વિકસિત કરવાનું તંત્રનું આયોજન જાેખમાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.