ગાંધીનગરમાં “આપ”ના એક માત્ર કોર્પાેરેટરની રાજીનામાની ચીમકી
કેજરીવાલને ટેગ કરી સ્થાનિક નેતાઓ દ્વારા થતી અવગણના સામે રોષ ઠાલવ્યો-તુષારભાઈએ જણાવ્યું છે કે, સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન જળવાશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે.
ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં ૨૨ ટકા મત અંકે કરનાર આમ આદમી પાર્ટીના નેતાઓએ ૨૦૨૨ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે અચાનક જ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતનારા એક માત્ર ઉમેદવાર-કોર્પાેરેટરો રાજીનામાની ચીમકી ઉચ્ચારતા રાજકીય વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મુખ્ય રાજકીય પક્ષો સામે જંગી ચૂંટણી સભા અને ઘરે ઘરે ફરીને પ્રચાર કરનારા આમ આદમી પાર્ટીને ગાંધીનગરની ચૂંટણીમાં સારો દેખાવ કરવાની અપેક્ષા હતી, પરંતુ ચૂંટણી પરિણામોએ તેમની ઈચ્છા પર પાણી ફેરવી દીધું હતું.
આમ છતાં આમ આદમી પાર્ટીએ મનપામાં એક કોર્પાેરેટર સાથે ખાતું ખોલાવ્યું હતું ત્યારે આપની આગેકૂચ પર બ્રેક વાગતી હોય તેવું લાગી રહ્યું છે.
ગાંધીનગર મનપાનું પરિણામ આવ્યાને હજુ એક મહિનો પણ પૂરો નથી થયો ત્યારે આમ આદમી પાર્ટીનો આંતરિક વિખવાદ વધી રહ્યો છે. ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા એક માત્ર કોર્પાેરેટર તુષાર પરીખે સ્થાનિક કાર્યક્રમોમાં થઈ રહેલી અવગણનાને પગલે રાજીનામાની ચીમકી આપી છે.
તેમણે આપના નેતા અરવિંદ કેજરીવાલને ટેગ કરીને મૂકેલી ટિ્વટમાં પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તુષારભાઈએ જણાવ્યું છે કે, સ્થાનિક કક્ષાએ પાર્ટી દ્વારા તેમનું માન-સન્માન જળવાશે નહીં તો તેઓ પાર્ટી છોડી દેશે. ગાંધીનગરમાં સ્થાનિક નેતાઓ દ્વારા નાના-મોટા નિર્ણયો કાર્યકરોને પૂછ્યા વિના જ મનસ્વી રીતે કરાતા હોવાની ફરિયાદો ઊઠઈ રહી છે અને પક્ષની ગાઈડલાઈન્સનું કોઈ પાલન કરતું નથી.