Western Times News

Gujarati News

શિલ્પાએ એનિવર્સરી પર શેર કરી લગ્નની સુંદર તસવીરો

મુંબઈ, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા માટે આજનો દિવસ ખૂબ ખાસ છે. આજે એટલે ૨૨ નવેમ્બરે ૧૨ વર્ષ પહેલા શિલ્પા શેટ્ટીએ બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા હતા. શિલ્પા અને રાજે સુખ-દુઃખમાં એકબીજાનો સાથ આપવાનું વચન આપ્યું હતું.

૧૨ વર્ષોથી શિલ્પા પોતાના પતિની પડખે ઊભી છે. ૧૨મી એનિવર્સરી પર શિલ્પા શેટ્ટીએ રાજ કુંદ્રા માટે હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. સાથે જ લગ્નની ખાસ તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શિલ્પા શેટ્ટીએ લગ્ન વખતની ચાર તસવીરોનો કોલાજ શેર કરતાં પોતાના દિલની વાત કહી છે.

શિલ્પાએ લખ્યું, “૧૨ વર્ષ પહેલા આજના દિવસે અને આ જ ક્ષણે આપણે એકબીજાને સુખ-દુઃખમાં સાથે રહેવાનું વચન આપ્યું હતું. પ્રેમ અને ઈશ્વરમાં વિશ્વાસ રાખીશું અને તેઓ જે રસ્તો બતાવશે તેના પર ચાલવાનું વચન લીધું હતું.

આજે પણ આપણે તેને પાળી રહ્યા છીએ. ૧૨ વર્ષ થયા છે અને આગળના ગણીશ નહીં. હેપી એનિવર્સરી કૂકી. આપણાં જીવનના અનેક ઈંદ્રધનુષ, હાસ્ય, માઈલસ્ટોન અને આપણાં અમૂલ્ય બાળકો સાથે ઘણાં વર્ષો વિતાવીશું. અમારા જીવનના તડકા-છાંયડામાં અમને સાથ આપનારા સૌ શુભચિંતકોનો દિલથી આભાર.

શિલ્પા શેટ્ટીની આ પોસ્ટ પર તેના ફેન્સ અને ઈન્ડસ્ટ્રીના મિત્રો કોમેન્ટ કરીને શુભકામના આપી રહ્યા છે. શિલ્પા શેટ્ટીની બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા મલ્હોત્રાએ પણ રાજ-શિલ્પા સાથેની તસવીર શેર કરીને તેમને શુભેચ્છા આપી છે. આકાંક્ષાએ લખ્યું, “તમે બંને સાચા પ્રેમની ગાથા છો.

મારા ફેવરિટ વ્યક્તિઓને એનિવર્સરીની શુભેચ્છા. હંમેશા તમારા પર ઈશ્વરના આશીર્વાદ રહે અને તમે સુરક્ષિત રહો તેવી કામના. તમને બંનેને અઢળક પ્રેમ કરું છું. દરમિયાન શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા ૧૨મી વેડિંગ એનિવર્સરીની ઉજવણી સાદગીથી કરવાના છે.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, કપલ મુંબઈના વર્લીમાં આવેલી તેમની રેસ્ટોરાંમાં એનિવર્સરી ઉજવવાના છે. તેઓ રોમેન્ટિક ડિનર લઈને આજના દિવસને ખાસ બનાવશે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ ૨૨ નવેમ્બરે ૨૦૦૯ના રોજ લગ્ન કર્યા હતા.

૨૦૧૨માં તેમના દીકરા વિઆનનો જન્મ થયો હતો. જ્યારે ૨૦૨૦માં સરોગસી દ્વારા શિલ્પા અને રાજ દીકરી સમિષાના પેરેન્ટ્‌સ બન્યા હતા.

આ વર્ષે જુલાઈ મહિનામાં રાજ કુંદ્રાની પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા પર અશ્લીલ ફિલ્મો બનાવાનો અને તેને પ્રસારિત કરવાનો આરોપ હતો. આ કેસમાં બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ રાજ કુંદ્રા જામીન પર છૂટ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ રાજ જાહેરમાં આવવાનું ટાળી રહ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.