Western Times News

Gujarati News

સુરત: જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ તૂટી પડતાં કાટમાળ નીચે ચાર દટાયાઃ બેનાં મોત

સુરત, સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી કિરણ હોસ્પિટલની બાજુમાં જૂની ઈમારતના રિનોવેશન વખતે દીવાલ અને સ્લેબનો ભાગ પડતાં ભાગ તૂટી પડ્યો હતો, જેથી ચાર લોકો દબાયા હોવાની વાત મળતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી, જેમાંથી ત્રણ વ્યક્તિને બહાર કાઢવામાં આવી હતી. એમાંથી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતાં હોસ્પિટલ મોકલવામાં આવી હતી, જ્યાં તેમને મૃત જાહેર કરાયાં હતાં.

પાલિકાના અધિકારીઓએ કહ્યું હતું કે કતારગામના જરીવાલા કમ્પાઉન્ડમાં આ ઈમારત આવેલી છે, જ્યાં તેનું સમારકામ ચાલતું હતું. એ દરમિયાન દીવાલ અને સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો.

જોકે રિનોવેશન સહિતની કામગીરી અંગે પાલિકામાંથી કોઈ જ મંજૂરી લેવામાં આવી નહોતી તેમજ બિલ્ડિંગ કેટલું જૂનું હતું એ અંગે પાલિકાના અધિકારીઓએ તપાસ હાથ ધરી છે, સાથે જ યોગ્ય પગલાં પણ નિયમો પ્રમાણે લેવામાં આવશે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

સમગ્ર ઘટના અંગે જાણ થતાં જ સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલર દોડી આવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે આ ખૂબ જ ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. પાલિકાની ફાયરબ્રિગેડ ટીમ યોગ્ય કામગીરી કરી રહી છે. જોકે આ પ્રકારે કોઈ જ સુરક્ષા વગર બિલ્ડિંગ ઉતારવું યોગ્ય નથી. લોકોના જીવને ખતરામાં મૂકીને થતી કામગીરી સામે પગલાં લેવાય એવી હું માગ કરીશ, એમ ધારાસભ્યે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.