ગુજરાતની આ મહાનગરપાલિકાના 5 અધિકારીઓએ કેમ આપ્યા રાજીનામા? સામે આવ્યું આ મોટું કારણ
VMC માં મોટો ભડકો! દેવાંગ ભટ્ટ સહિત 5 જૂના અધિકારીઓએ કેમ લીધી સ્વૈચ્છિક નિવૃત્તિ? તંત્રમાં દોડધામ-પાંચ અધિકારીઓએ રાજીનામાં આપતાં પાલિકામાં ખળભળાટ
ઉચ્ચ અધિકારીઓની કનડગત? નવી ભરતીમાં અન્યાય કે કરેલા કરતૂતોમાં ફસાવવાની ભીતી
વડોદરા, વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં મહત્વના હોદ્દાઓઓ ઉપર ફરજ બજાવતાં પાંચ અધિકારીઓએ સામૂહિક રાજીનામાં આપ્યા હોવાની ઘટનાના પગલે પાલિકામાં ખળભળાટ મચી ગયો હતો.
અચાનક પાંચ અનુભવી અને જૂના અધિકારીઓએ સ્વૈÂચ્છક નિવૃત્તિની કરેલી જાહેરાતના પગલે વહીવટી તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. પાલિકાના આ અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓની કનડગત, તાજેતરમાં થયેલી નવી ભરતીઓમાં અન્યાય કે તેઓએ કરેલા કરતૂતોમાં ફસાવવાની ભીતીના કારણે આ રાજીનામાં આપવામાં આવ્યા હોવાની તરહ તરહની ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
મળતી માહિતી મુજબ રાજીનામાં આપનારાં પાંચ અધિકારીઓમાં સામાન્ય વહીવટ વિભાગના ખાતાકીય વડા દેવાંગ ભટ્ટ, રેવન્યુ ઓફિસર મનોજ ક્રિશ્ચિયન, વોર્ડ નંબર ૧૭ ના વોર્ડ ઓફિસર મહેશ પટેલ, વોર્ડ નંબર ૧૮ ના રેવન્યુ ઓફિસર પ્રકાશ પરમાર તેમજ વોર્ડ નંબર ૧૬ ના વોર્ડ ઓફિસર અને રેવન્યુ ઓફિસર પરાગ મોદીનો સમાવેશ થાય છે.
સામાન્ય વહીવટ વિભાગના ખાતકિય વડા તથા તેમના નિકટના કહેવાય તેવા અધિકારીએ રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. આમ તો મોટાભાગના રાજીનામા પાછળ ઉચ્ચ અધિકારીઓની કનડગત થતી હોવાના કારણે રાજીનામા આપ્યા હોવાની ચર્ચાઓ થઇ રહી છે.
જો આગામી દિવસોમાં ઉચ્ચ કક્ષાએ આ પાંચેય અધિકારીઓની રાજીનામાં મંજૂર કરવામાં આવશે, તો કોર્પોરેશનનું વહીવટી માળખું વધુ નબળુ બનવાની શક્યતા છે. હાલ પણ અનેક વિભાગો કાયમી અધિકારીઓના અભાવે ઇન-ચાર્જ વ્યવસ્થા હેઠળ ચાલી રહ્યા છે.
આવી સ્થિતિમાં અનુભવી અધિકારીઓની એકસાથે વિદાયથી વિકાસકામો, પ્રિ-મોન્સૂન કામગીરી અને શહેરને અપાતી આવશ્યક સેવાઓ પર સીધી અસર પડી શકે છે. આ સમગ્ર મામલાને લઇને પાલિકાના વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સ્થિતિને કાબૂમા લેવા માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
