ઉદ્ધવ ઠાકરેનો મોદી સરકારને પડકાર: ‘હિંમત હોય તો દાઉદને મારી બતાવો’
મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ મોદી સરકારને પડકાર ફેંકતા કહ્યું છે કે જાે તમારામાં હિંમત હોય તો અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને મારી નાખો.
એનસીપીના નેતા નવાબ મલિકનો બચાવ કરતા તેમણે મહારાષ્ટ્ર વિધાનસભામાં કહ્યું કે જાે આપણે માની લઈએ કે નવાબ મલિક દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત છે તો કેન્દ્રીય એજન્સીઓ આટલા વર્ષો સુધી શું કરી રહી હતી? તેમણે પૂછ્યું કે ભાજપે પીડીપી સાથે ગઠબંધન કરીને સરકાર કેમ બનાવી, જે આતંકવાદીઓ અફઝલ ગુરુ અને બુરહાન વાની પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. આ દરમિયાન ભાજપના ધારાસભ્યોએ નવાબ મલિકના રાજીનામાની માંગ સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની બહાર પ્રદર્શન કર્યું હતું.
શિવસેના પ્રમુખ અને સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપે છેલ્લી ચૂંટણી રામ મંદિરને લઈને લડી હતી, પરંતુ આ વખતે તે દાઉદ ઈબ્રાહિમના નામ પર વોટ માંગશે.
તેમણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાને ટાંકીને કહ્યું હતું કે ઓબામાએ પાકિસ્તાન માં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો,પરંતુ તેમની કાર્યવાહી માટે ક્યારેય વોટ માંગ્યા નથી. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેવેન્દ્ર ફડણવીસે નોકરીએ રાખવા જાેઈએ.
મહારાષ્ટ્ર સરકારમાં સહયોગી એસસીપીના નેતા નવાબ મલિકની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને ૪ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. તે દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી છે.હકીકતમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) મલિકના કુર્લા પ્રોપર્ટી ડીલની તપાસ કરી રહી છે, જ્યાં ૧૯૯૯-૨૦૦૩માં કુર્લામાં ૩ એકર પ્લોટ માટે દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરને ચૂકવણી કરવામાં આવી હતી.HS