Western Times News

Gujarati News

કચ્છમાં ભૂકંપ પુનર્વસન અન્વયે મળેલા મકાન- આવાસમાં વસવાટ કરતાં પરિવારોને માલિકી હક –સનદ મળશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો માનવીય સંવેદનાપૂર્ણ અભિગમ 

ભૂકંપગ્રસ્તોના લાંબાગાળાથી પડતર પ્રશ્નના નિવારણનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો જવાબદાર અને સંનિષ્ઠ પ્રયાસ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીના પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને
મકાન માલિકી હક -સનદ આપવાનો માનવીય સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે.   મહેસુલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતા કહ્યું કે, કચ્છમાં ૨૦૦૧માં આવેલા ભયાવહ ભૂકંપ પછી પુનર્વસન માટે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા તત્કાલીન સમય સંજોગોને આધીન રહીને અલગ-અલગ સ્થળોએ મકાન- આવાસ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી હતી.

કચ્છ જિલ્લામાં મોટા પ્રમાણમાં ગામો ભુકંપ અસરગ્રસ્ત થયેલા અને વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઉભી થતાં ખૂબ મોટાપાયે આવા આવાસો નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. આવા ઘણા બધા ગામોમાં વસવાટ કરી રહેલા અસરગ્રસ્તો પાસે મકાનનો કબજો છે પરંતુ તે અંગેની નોંધ થયેલી નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ અંગેની રજૂઆતો આવતાં તેમણે માનવીય અભિગમ દર્શાવી આવા મકાન ધારકોને માલિકી હક-સનદ આપવાનો નિર્ણય કર્યો છે.

ભૂકંપ પછી બચી ગયેલા નિરાધાર લોકો, પરિવારોને તાત્કાલિક આવાસ-છત આપવા સ્વૈચ્છિક સંસ્થાઓએ જ્યાં મકાનો બનાવેલા છે તે જગ્યાને ગામતળ નીમ કરવાનો અભિગમ પણ મહેસુલ વિભાગે અપનાવ્યો છે.  મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સામાન્ય, મધ્યમવર્ગના કે ગરીબ પરિવારોની પડખે સદાય ઉભા રહેવાનો સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે. મૃદુ છતાં મક્કમ અને નિર્ણાયક મુખ્યમંત્રી તરીકે ખ્યાતિપ્રાપ્ત શ્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભૂકંપ પછીના પુનર્વસનમાં આવાસ મેળવેલા લોકોને આવાસ માલિકી અને સનદ આપવાનો જવાબદાર અને સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. માત્ર કચ્છ જિલ્લામાં ભૂકંપ પુનર્વસન અન્વયે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને જ એ નિર્ણય લાગુ પડશે.

મુખ્યમંત્રીશ્રીના આ લોકહિત નિર્ણયને પરિણામે કચ્છમાં ભૂકંપ પુનર્વસન માટે આવાસ-મકાન મેળવેલા અનેક પરિવારોની લાંબાગાળાની પડતર સમસ્યા નિવારણ થયું છે, આવા પરિવારો -લોકોને પોતિકા મકાન- સનદનો લાભ મળવા સાથે સ્વૈચ્છિક સંસ્થાઓએ બનાવેલા મકાન- આવાસના ગામોના ગામતળ નીમ થવાથી મહેસુલી નિયમ અનુસારના લાભો પણ હવે તેમને મળતા થશે એમ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.