ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા બાબતે બે જૂથ વચ્ચે બબાલ
બનાસકાંઠા, બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા મામલે બે જૂથો વચ્ચે બબાલ થતાં બબાલને લઈને બંદોબસ્ત માટે પહોંચેલી પોલીસ પર ટોળાએ પથ્થરમારો કરતાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા.
આ ઉપરાંત ત્રણ પોલીસકર્મીને ઈજાઓ પહોંચતા સારવાર માટે ડીસાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ ડીસા પોલીસે હુમલો કરનારા કેટલાક લોકોની અટકાય કરી છે. અન્ય ફરાર રહેલા લોકોને પણ શોધખોળ આદરી છે.
આ દરમિયાન ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ પર હુમલાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કૂંપટ ગામે ડીસા તાલુકા પોલીસ પર હુમલો થયો હોવાની ઘટના બની છે.
કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા. લગ્નમાં પલાવી ઠાકોરના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી તેમ છતાં યુવકે વરઘોડો કાઢતા બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને જૂથોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
જાેકે, તે સમયે પાલવી ઠાકોર સમાજના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા અને ૧૫ જેટલા લોકો ઘાયલ થાય હતા. આ હુમલામાં બંદોબસ્ત માટે આવેલા દાંતીવાડા પી.એસ.આઇ અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી.
ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને અને ઘાયલોને તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. હુમલાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ પરિસ્થિતિ ન વણસે તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
આ મામલે બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, આજે વરઘોડો કાઢવાની બાબતને લઈને બબાલ થઈ હતી, જેમાં પોલીસને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ડીસા તાલુકાના કૂંપટ ગામમાં કર્ફ્યૂ જેવો માહોલ સર્જાયો છે. તો બનાસકાંઠા પોલીસે હુમલો કરનારા કેટલાક લોકોની અટકાયત પણ કરી છે. બાકીની લોકોની શોધખોળ હાથ ધરીને તેમની અટકાયતની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.SS1MS